“સનાતન ધર્મની જ્યોત હૈયે જગાવીએ” વિષય પર પ્રવચન યોજાશે
‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા.૨૩–૧૨–૨૦૨૩ના રોજ ૧૦૪મું પ્રવચન યોજાશે
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહિ હમારી ….
જેનો આરંભ ઇતિહાસના સમયથી પેલે પારનો છે અને જેનો અંત ક્યારેય નથી. જેનો કોઇ સ્થાપક નથી, પરંતુ આદિ-અનાદિથી જેનું ગંગાના પ્રવાહની જેમ વહન થઇ રહ્યું છે. અનેક તત્વચિંતનો, વિધિ-વિધાનો, માન્યતાઓ અને રીત-રીવાજો જેવા પાયાના તત્ત્વોનો વિશાળ મહાસાગર જેમાં સમાયેલો છે. BAPS Akshardham Gandhinagar
જેના અવતારવાદ અને મૂર્તિપૂજા, કર્મવાદ અને પુનર્જન્મ, સંયમ અને બ્રહ્મચર્ય, આહાર-વિહાર શુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ પાયાના અભિગમો છે એવો સનાતન ધર્મ જેનું આજનું પ્રચલિત નામ એટલે હિન્દુ ધર્મ.
પરંતુ આજે યુગોથી અક્ષુણ્ણ રહેલા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સામે આજે પડકાર આવીને ઊભો છે. વિકૃતિઓ ઇલેક્ટ્રોનિક માધ્યમના અદૃશ્ય તરંગો દ્વારા હજારો માઇલનું અંતર કાપી સંસ્કૃતિ સામે આક્રમક બની સપાટો બોલાવી રહી છે. ભેળસેળના આ જમાનામાં સંસ્કૃતિના મૂલ્યોમાં વિકૃતિની ભેળસેળ થવા લાગી છે.
સમસ્ત સમાજ કોઇ વિચિત્ર ત્રિભેટે આવીને ઊભો છે એવા આ કટોકટીના સમયે, આપણા સનાતન ધર્મનાં મૂલ્યોનું જતન કરવાનું પ્રત્યેક સનાતનીનું કર્તવ્ય છે. વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પૂ મહંતસ્વામી મહારાજ આ કર્તવ્ય નિભાવવામાં ગૌરીશિખર સમી ભૂમિકા નિભાવી રહ્યા છે.
ત્યારે આશા છે, સનાતન ધર્મ-સંસ્કૃતિને વધુ સમજવાની તક જતી ન કરીએ. આર્ષ, ત્રૈમાસિક પ્રવચનમાળા, પ્રવચન-104 માં “સનાતન ધર્મની જ્યોત હૈયે જગાવીએ” વિષયક પ્રવચન તા.23/12/2023 ને શનિવારના રોજ સાંજે 04.30 થી 07.00 દરમિયાન, અક્ષરધામ હરિમંદિર સભા હોલમાં યોજાશે.
જેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર. શાહીબાગ, અમદાવાદના ભારતીય સંસ્કૃતિના પ્રખર ઇતિહાસવિદ્ વિદ્વાન વક્તા પૂ. અક્ષરવત્સલદાસ સ્વામીના પ્રવચનનો લાભ પ્રાપ્ત થનાર છે