ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને GNLU ખાતે લોન તથા સહાય વિતરણ સમારોહ યોજાશે

અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આવતીકાલ તા. ૨૨ માર્ચે ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ખાતે લાભાર્થીઓને લોન તથા સહાય વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા નિગમોના જુદી જુદી યોજનાઓના અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ એમ કુલ આઠ જિલ્લાના લાભાર્થીઓને લોન તથા સહાય વિતરણ કરાશે તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની યાદીમાં જણાવાયું હતું.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ૩,૯૯,૨૯૧ લાભાર્થીઓને રૂ. ૫૧૪.૭૧ કરોડના લાભોનું વિતરણ કરાશે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ તથા તે હસ્તકના વિકસતી જાતિના ૩,૯૬,૯૩૯ લાભાર્થીઓને રૂ.૪૭૨.૨૧ કરોડ અને નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા તે હસ્તકના નિગમોમાં અનુસૂચિત જાતિના ૨૩૧૬ લાભાર્થીઓને રૂ. ૪૨.૧૪ કરોડ તથા ગુજરાત વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમના ૩૬ લાભાર્થીઓને રૂ.૦.૩૬ કરોડની લોન તથા સહાયનું વિતરણ કરાશે
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, ગાંધીનગર મહાનગરપાલિકા મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી અલ્પેશ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી જયંતિભાઈ પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના અનુસૂચિત જાતિના કાઉન્સિલર ઉપસ્થિત રહેશે.