આમોદના વાસણા ગામે પાટણવાડીયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો

૨૧ નવ દંપતીઓને તિજોરી,પલંગ, સોફા, રસોડા સેટ, ચાંદીના બ્રેસ્લેટ, પંખા,ટિફિન,ઈલેક્ટ્રીક સગડી, તાંબાના લોટા,ખુરશી, સ્ટીલની ડોલ, બાઝઠ, પાણીના જગ,સ્ટીલના બેડાં,ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામા આવી હતી.
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડીયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સમુહ લગ્ન પૂર્વે ૨૧ વર કન્યાનો ગામમાંથી ડી.જે.ના તાલે ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
સમુહ લગ્નમાં આયોજકો તરફથી ૨૧ નવ દંપતીઓને તિજોરી,પલંગ, સોફા, રસોડા સેટ, ચાંદીના બ્રેસ્લેટ, પંખા,ટિફિન,ઈલેક્ટ્રીક સગડી, તાંબાના લોટા,ખુરશી, સ્ટીલની ડોલ, બાઝઠ, પાણીના જગ,સ્ટીલના બેડાં,ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામા આવી હતી. સમૂહ લગ્ન પ્રસંગે આમોદ જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય પુજ્ય ડી.કે સ્વામીએ હાજર રહી ૨૧ નવ દંપતીઓને રૂડા આશિર્વાદ આપ્યા હતા
અને પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે સમૂહ લગ્નની અંદર લગ્ન કરવાં એ આપણી સંસ્કૃતિ છે.સૌપ્રથમ સમૂહ લગ્ન ભગવાન રામના થયાં હતાં.સમુહ લગ્નના આયોજનથી વ્યસનોને દુર કરવાનું આયોજન થઈ રહ્યું છે.સમુહ લગ્નથી સમાજ ખોટા રીવાજો માંથી અને ખોટા ખર્ચમાંથી બહાર આવે છે.સમૂહ લગ્ન કરવાથી ઘણા ફાયદા થાય છે.વિવિધ દૂષણોથી સમાજ મુક્ત થાય છે.
આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યુ હતુ કે સમૂહ લગ્ન સમાજની એકતા અને અખંડિતાનુ દર્શન કરાવે છે.સમૂહ લગ્નના આયોજનથી સમાજ ખોટા ખર્ચથી બચે છે.અને તેનો લાભ સમાજને મળે છે.આ પ્રસંગે તેમણે સમાજનાં આગેવાનોને સમૂહલગ્નનું આયોજન કરવા બદલ બિરદાવ્યા હતાં.
આ પ્રસંગે આવેલા મહેમાનો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી, પુર્વ પ્રમુખ વિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ,અશોક પટેલ,મયુરસિંહ રાજ, કેતન પટેલ,ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના લોકોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.