જંબુસરના દહરી વીબીસી નહેરમાં મોટું ગાબડું ઉભા પાકને ભારે નુકસાન
ભરૂચ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાની નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઈ વારંવાર તૂટી જવાના અને સાફ સફાઈ ન કરવા સહિતના બનાવો બનતા હોય છે.જે અંગે ધરતીપુત્ર દ્વારા નહેર વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે.પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને જંબુસર તાલુકાના ધરતીપુત્રોને વારંવાર નુકસાની વેઠવી પડતી હોય છે.
જંબુસર તાલુકાના દહરી ખાતે આવેલ વીબીસી ૧૧૦ થી ૧૧૨ સુધીની નહેરમાં મસ્ત મોટું ગાબડું પડી ગયું છે.જેને લઈ લાખો ગેલેન પાણીનો બગાડ થઈ રહ્યો છે.સહિત આ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા આ વિસ્તારની ૨૦૦ એકર જમીનમાં પાણી ફરી વળ્યા છે જેના પગલે ખેતરોમાં તળાવ જેવી સ્થિતિ ઉદ્દભવી છે.જેના પગલે ધરતીપુત્રના ઉભા પાક મગ અને ધઉં ને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાય રહી છે.
નહેર તૂટી જવાથી જ્યાં ખેડૂતોને જરૂરિયાત નથી ત્યાં પાણી ફરી વડે છે અને જરૂરિયાત છે ત્યાં પાણી પહોંચી શકતા નથી.જેને લઈ ખેડૂતોને નુકસાની વેઠવી પડતી હોય છે. સદર નહેર બાબતે ગઈકાલે બપોરે કેનાલમાં ગાબડું પડતા અધિકારીઓને જાણકારી હોવા છતાં કોઈ હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.સદર નહેર પ્રશ્ને દહરી ગામના ખેડૂતોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે અને નહેરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.