Western Times News

Gujarati News

BJPના ડો.મહેન્દ્ર મુંજપરાએ આખું પોલીસ સ્ટેશન માથે લીધું

હું કેન્દ્રનો મંત્રી હતો અને તમારા સચિવ પણ મારાથી ગભરાય છે. તમને બધાંને હું સસ્પેન્ડ કરાવી દઇશ.

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુંજપરાએ તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક પોલીસ સ્ટેશનમાં જઈને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

વાત એવી હતી કે મુંજપરાના ભાણેજની પત્નીએ તેની સાથે થયેલા ગેરવર્તન બદલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ડો. મુંજપરા પોતાના ભાણેજના બચાવ માટે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. ત્યાં જઈને “હું કેન્દ્રનો મંત્રી હતો અને તમારા સચિવ પણ મારાથી ગભરાય છે.તમને બધાંને હું સસ્પેન્ડ કરાવી દઇશ.”

એમ ઉગ્ર સ્વરે બોલ્યા હતા.સત્તા પરથી ઉતરી ગયા હોવા છતાં ડો.મુજપરાને સત્તાનો મદ હજુ ઉતર્યો નથી એવું આ બનાવ સુચવતો નથીને?

પ્રદિપસિંહ વાઘેલાની નારાબાજી તરફ નરેન્દ્ર મોદીએ ધ્યાન ન આપ્યું!
અમદાવાદ, ગુજરાત ભા.જ.પ.ના મહામંત્રીપદેથી એકાએક રૂખસદ પામેલા પ્રદીપસિંહ વાઘેલા હાલ દરેક અર્થમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેઓ લાઈમલાઈટમાં આવવાનાં ખૂબ પ્રયત્ન કરે છે.પણ હજુ નસીબ મદદ કરતું નથી.

બન્યુ એવું કે હમણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે તેઓ સાંભળી શકે અને જોઈ શકે એટલાં દુર ઉભા રહીને પ્રદીપસિંહ “દેખો દેખો કૌન આયા, ગુજરાત કાં શેર આયા”ના સુત્રોચ્ચાર કરાવતા હતા પણ નરેન્દ્ર મોદીએ એ તરફ જોયું પણ નહોતું.એની સૌએ નોંધ પણ લીધી હોં!

ધારાસભ્ય જાદવે પોતાની તાકાતનો હિસાબ જાહેરમાં આપી દીધો હોં!

ભા.જ.પ માં હવે એક નવું શક્તિ પ્રદર્શન શરૂ થયું છે.તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદુરની સફળતા પછી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમનાં કાર્યક્રમ અને દર્શન માટે કોણ વધારે ભીડ એકઠી કરી શકે તેનું શક્તિ પ્રદર્શન જાહેરાત દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તેનો હાજરાહજૂર દાખલો અમદાવાદ વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ છે.આ ધારાસભ્યે અમદાવાદમાં જાહેરમાં બોર્ડ લગાવીને પોતે કેટલી મેદની એકઠી કરી એનો હિસાબ આપ્યો છે.જાદવે પાટિયામાં લખ્યું છે કે ૯૮ બસ દ્વારા ૫૪૮૮ લોકો નરેન્દ્ર મોદીના રોડ શોમાં જોડાશે!

એમાં વિગતો પણ અપાઇ છે કે (૧) વટવામાંથી ૩૦ બસ અને ૧૬૮૦ લોકો (૨) વસ્ત્રાલમાંથી ૩૦ બસ અને ૧૬૮૦ લોકો(૩)રામોલ- હાથીજણથી ૩૦ બસ અને ૧૬૮૦ લોકો અને(૪) વટવા ગ્રામ મંડળમાંથી ૮ બસ અને ૪૪૮ લોકો આમાં હશે. ભા.જ.પ.માં શરૂ થયેલું આ શક્તિ પ્રદર્શન હવે હરિફાઈમાં પરીણમે તો એ માટે કોઇને નવાઈ નહીં લાગે હોં!

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા.૧૮,૧૯, ૨૦,જુન દરમિયાન યોજાશે?
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક, કમિશનર, વાળાઓની કચેરી, સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા જ.સી.આર. ટી.ના નિયામકને તા.૧૭/૦૫/૨૫ના પત્રથી જણાવી દેવામાં આવ્યું છે કે.

આગામી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા.૧૮,૧૯, ૨૦ જુન,૨૦૨૫ના દિવસો દરમિયાન યોજવો.એમા એવી પણ સુચના આપવામાં આવી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ના યોગ્ય અમલીકરણના ભાગરૂપે સ્થાનિક સમુદાયની સહભાગિતા પણ વધારવી વગેરે વગેરે.

ટૂંકમાં,આ ત્રણ દિવસ સચિવાલય બંધ જેવું રહેશે અને સરકાર તમારા દ્વારે હશે.આ પરિપત્ર થયો ત્યારે પેટાચૂંટણી અંગે કોઈ હીલચાલ ન હતી.હવે ઓચિંતી આવી પડેલી પેટાચૂંટણીના કારણે કદાચ આ ઉજવણીમાં ફેરફાર થાય એવું બને.

શંકરસિંહ વાઘેલાનું માનવિય સૌજન્ય અને ખેલદિલી
ગત તા.૨૫/૦૫/૨૫ના રોજ નિવૃત સનદી અધિકારી સદ્ગત પ્રવીણ ગઢવીની પ્રાર્થનાસભા ગાંધીનગરમાં હતી.તેમા ગુજરાતના પૂર્વ અને સર્વપ્રિય મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. વાઘેલાને સત્તા છોડ્‌યાને પણ ૩૦ વર્ષ થઈ ગયાં તેમ છતાં એ વખતે પોતાની સાથે કામ કરનાર અધિકારીનાં અવસાન સમયે તેમના કુટુંબીજનોને આશ્વાસન આપવાનું માનવિય સૌજન્ય શંકરસિંહ ચૂકતા નથી એ એમના ઉંચા સંસ્કારની નિશાની છે.

આ શંકરસિંહની ખેલદિલી પણ અદ્દભુત છે. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે એક વખત રાજકોટમાં પરશુરામ જયંતીની ઉજવણીમાં ભાગ લેવા ગયેલાં ત્યારે તત્કાલીન ભા.જ.પ.ના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના દીકરી કાશ્મીરાના આગ્રહથી તેઓએ પરશુરામ જયંતીની રજા જાહેર કરી હતી.

પૃથ્વીને ૨૧ વખત નક્ષત્રી કરનાર અવતારની જયંતિ નિમિત્તે એક ક્ષત્રિય મુખ્યમંત્રી રજા જાહેર કરે એ અને શંકરસિંહ વાઘેલાની ખેલદિલીની ઘટના ગુજરાતના ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે નોંધવા જેવી ઘટના છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.