Western Times News

Gujarati News

ભાવી પ્રદેશ પ્રમુખ અંગે BJP દરરોજ એક નવું નામ વહેતું મુકાવે છે?

ગુજરાતનાં ભારતીય જનતા પક્ષની કુનેહ એ છે કે તેનાં નવાં પ્રદેશ પ્રમુખ કોણ હશે તેનો એક (કે બે) વ્યક્તિ સિવાય કોઈને અણસાર સુદ્ધાં નથી તેમ છતાં પક્ષ તરફથી દરરોજ એક નવું નામ હવામાં વહેતુ થાય છે.

આ અંગેની મોડસ ઓપરેન્ડી એવી છે કે પક્ષ સાથે (સીધી કે આડકતરી રીતે) સંકળાયેલા મીડિયા કર્મીઓ દ્વારા નવું નામ ઉછાળવામાં આવે છે.હાલ બે નામ તાજા ઉછાળવામાં આવ્યા છે.એમા એક છે

(૧)સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા અને બીજા છે(૨) ડો. પ્રદ્યુમ્ન ગ.વાજા.(ક)વ્યવસાયે કાર્ડિયોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા અને કોળીપટેલ સમાજનું નેતૃત્વ સંભાળતા ડો. મહેન્દ્ર મુંજપરા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.

(ખ)જ્યારે અનુસૂચિત જાતિનું નેતૃત્વ કરતા ડો. પ્રદ્યુમ્ન વાજા એમ.બી.બી.એસ.ની ડિગ્રી ધરાવે છે. સરકારી હોસ્પિટલમાં નોકરી પણ કરી ચૂક્યા છે. હાલ કોડિનારના ધારાસભ્ય છે.તેમના પત્ની પણ ડોકટર છે.

નિવૃત આઈ.એ.એસ. અધિકારી પ્રવીણ ગઢવીનુ દુઃખદ અવસાન
ગુજરાત રાજ્યના પૂર્વ સનદી અધિકારી અને ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક શ્રી પ્રવીણ કે.ગઢવીનુ ગત તા.૨૧મી મેના રોજ દુઃખદ અવસાન થયું છે.તેઓની ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહનું દેહદાન કરવામાં આવ્યું છે.

પ્રવીણ ગઢવી નિવૃત્તિ પછી ગાંધીનગરની સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય હતા. તેમની વ્યવસાયિક કારકિર્દી ઉજળી અને ચિલો ચાતરનારી રહી છે.પ્રવીણ ગઢવી જ્યારે અમરેલીમાં કલેકટર હતા ત્યારે લાઠીમાં કવિ કલાપીનું સ્મૃતિ મંદિર તેઓએ ખાસ રસ લઈને તૈયાર કરાવ્યું હતું.

ગઢવી જ્યારે ગુજરાત રાજ્યના ભાષા નિયામક હતા ત્યારે ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોના ફોટાઓ સાથેનું કેલેન્ડર બહાર પાડ્‌યું હતું.પ્રવીણ ગઢવી ખૂબ સારા વાચક હતા.તેઓ વાર્તાકાર અને કવિ તરીકે પણ જાણીતા હતા.ભરપૂર માનવીય સંવેદના ધરાવતા પ્રવીણ ગઢવીના અવસાનથી ગાંધીનગર સાહિત્યજગત ખોટની લાગણી અનુભવશે એ નક્કી છે.

બચુ મગન ખાબડનો વાળ પણ વાંકો નહીં થાય?

ગુજરાત રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના રાજયમંત્રી  બચુ મગન ખાબડના બે દીકરાઓને મનરેગા કૌભાંડમાં પોલીસે પકડ્‌યા છે અને જેલમાં મોકલી આપ્યા છે.

આમ તો ભા.જ.પ.ની નૈતિક પરંપરાને સ્મરણમાં રાખીને ગુજરાતના ભલા-ભોળા નાગરિકો તો એવી અપેક્ષા રાખે કે બચુ ખાબડ ક્ષણના ય વિલંબ વગર રાજીનામું આપી દેશે.પણ એવું બનવાનું નથી.

કારણ કે આ કૌભાંડી પ્રકરણ અંગે પ્રતિક્રિયા આપતાં હાલના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલે જણાવ્યું છે કે “આ પ્રકરણમાં બચુ ખાબડના પરિવારના સભ્યોની સંડોવણી આવી છે

અને પોલીસે તેમની સામે પગલાં પણ લીધા છે. આનો અર્થ એ નથી કે બચુ ખાબડ પોતે પણ આ ગુનામાં સામેલ છે.

જો તેમની સંડોવણી બહાર આવશે તો પક્ષ એ અંગે વિચારશે” ટૂંકમાં, પાટીલે કામચલાઉ ધોરણે બચુ ખાબડને ક્લીન ચીટ અને અભયવચન આપી દીધું છે. હવે જેના પર પાટીલના ચાર હાથ હોય તેને કોઈ પણ શું કરી શકે? આનો અર્થ એ થાય કે બચુ મગન ખાબડનો વાળ પણ વાંકો નહીં થાય!

અવંતિકા સિંઘના હોદ્દાનું નવું નામાભિધાન થતાં આખરે પંકજ જોષીએ ખાલી કરેલી ચેમ્બરનો ઉપયોગ શરું થયો!

તાજેતરમાં તા.૨૦/૦૫/૨૫ના દિવસે સામાન્ય વહીવટ વિભાગ તરફથી થયેલા હુક્મ અનુસાર મુખ્યમંત્રીનાં સચિવ તરીકે ફરજ બજાવતા અને ૨૦૦૩ની બેચના આઈ.એ.એસ.અધિકારી શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખને મુખ્યમંત્રીનાં અધિક અગ્ર સચિવ તરીકે નીમવામાં આવ્યા છે.

આ સાથે એક ઘટના એવી બની કે અવંતિકા સિંઘે સ્વર્ણિમ સંકુલ-૧ના ત્રીજા માળે આવેલી પોતાની સચિવ તરીકે મળેલી ચેમ્બર ખાલી કરી અને તેઓ અધિક અગ્ર સચિવ તરીકે અગાઉ જ્યાં મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી બેસતા હતા એ ચેમ્બરમાં બેસી ગયા.આ રીતે પંકજ જોષી મુખ્ય સચિવ બનતા ઘણા વખતથી ખાલી રહેલી ચેમ્બરનો ઉપયોગ શરું થયો છે.

ડો.વિક્રાંત પાંડેએ મુખ્યમંત્રીના સચિવનો કાર્યભાર સંભાળ્યો

ગુજરાતના મુખ્યમંત્રીનાં સચિવ તરીકે નિમાયેલા ડો. વિક્રાંત પાંડેએ ગત અઠવાડિયે મુખ્યમંત્રીનાં સચિવનો કાર્યભાર સંભાળી લીધો છે.દિલ્હીથી આવેલા પાંડે ઝાલાવાર, રાજસ્થાનના વતની છે.

એમ.બી.બી. એસ.થયેલા વિક્રાંત પાંડે અગાઉ કલેકટર  (૧)ઃ-ભરૂચ, (૨)ઃ-રાજકોટ અને (૩)ઃ-અમદાવાદ તરીકે તથા

(૪)ઃ-દિલ્હીમાં ઈન્ટર સ્ટેટ કાઉન્સિલના ડાયરેક્ટર તરીકે તેમજ (૫)ઃ-રેસીડેન્સીયલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સતત સારા પોસ્ટીંગ ગુજરાત અને દિલ્હીમાં મેળવ્યા પછી વિક્રાંત પાંડેની મુખ્યમંત્રી કાર્યાલયમાં થયેલ નિમણૂંક અત્યંત સૂચક માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.