જમીન વેચાણમાં ખેડૂત સાથે છેતરપિંડી થઈ: બાનાખત કરાર બદલી નાંખ્યો

AI Image
જમીનનો બાનાખત કરાર બદલી કરોડોની જમીન માત્ર રૂ.૩૧ લાખમાં નામે કરી
(એજન્સી)આણંદ, ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં ખેડૂત સાથે છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં દલાલ અને આરોપીએ સાથે મળીને ખેડૂતની જમીન વેચવાના કરાયેલા બાનાખત બદલની આરોપીએ ખેડૂતની જમીન પચાવી પાડવાની ધમકી આપી હતી.
આરોપીએ રૂ.૫૦ હજારની ચૂકવીને બાનાખત કરાવ્યું હતું. જેમાં બાનાખતમાં ચેડા કરીને આરોપીએ રૂ.૧.૭૫ કરોડની જમીનના માત્ર રૂ.૩૧ લાખ કિંમત દર્શાવી હતી. સમગ્ર મામલે ખેડૂતે બાનાખત કરાર રદ કરી સ્ટે આૅર્ડર મેળવવા બોરસદ પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટ સમક્ષ દાદ માગી છે.
જ્યારે આરોપીએ અગાઉ પણ વડોદરા નજીક સમીયાલાની જમીન વેચવાના બહાને મહિલા સાથે રૂ.૬૬.૫૦ લાખની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાયેલી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આણંદના બોરસદ તાલુકાના ભાદરણના રહેવાસી અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ જયંતીભાઈ પટેલે પોતાની ભાદરણ ગામ ખાતેની સર્વે નંબર ૧૦૧૬ વાળી જમીન વેચાણ માટે વર્ષ ૨૦૨૪માં દલાલ જણાવ્યું હતું. જેમાં કરજણ પીંગલવાળાના રહેવાસી ધવલ ઉપાધ્યાયને દલાલ દિનેશભાઈ રાયપુરા મારફતે રૂ.૧.૭૫ કરોડમાં જમીન ખરીદવા તૈયારી દર્શાવી હતી. અને ધવલ ઉપાધ્યાયએ રૂ.૫૦ હજારની રકમ ચૂકવીને બાનાખત કરવા જણાવ્યું હતું. આ પછી બોરસદ મામલતદાર કચેરી ખાતે જયંતીભાઈની જમીનના બાનાખત કરાર રજીસ્ટર કરાવ્યા હતા.
ત્યારબાદ જ્યારે બાનાખત કરારની નકલ ખેડૂત જયંતીભાઈને મળતા બાનાખત તદ્દન જુદો હોવાનું જણાયું હતું. જયંતીભાઈ અને ધવલ વચ્ચે કોઈ મુલાકાત ન થઈ હોવા છતાં કરારમાં રૂ.૧૦.૫૦ લાખ ચૂકવ્યાં હોવાની ખોટી હકીકત દર્શાવામાં આવી હતી. અને જમીનની મૂળ કિંમત આરોપી ધવલે રૂ.૧.૭૫ કરોડના સ્થાને માત્ર રૂ.૩૧ લાખ દર્શાવી હતી.
ધવલ ઉપાધ્યાય તથા દિનેશ રાયપુરાએ વૃદ્ધ ખેડૂતની ઉંમરનો ગેરલાભ ઉઠાવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી બાનાખતનો કરાર બદલી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ મામલે ખેડૂતો આરોપીને વાત કરતાં ધવલે જે થાય તે કરી લેજો બાનાખત આધારે અમે જમીનનો કબ્જો પણ લઈ લઈશું તેવી ધમકી આપી હતી.
સમગ્ર મામલે વૃદ્ધ ખેડૂતે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત બાનાખત કરાર રદ કરી સ્ટે આૅર્ડર મેળવવા બોરસદ પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટ સમક્ષ દાદ માગી છે.