Western Times News

Gujarati News

ગાંધીધામમાં તળાવમાં બાઇક ધોવા ગયેલા સાળા બનેવીના ડૂબી જવાથી મોત

ભૂજ, ગાંધીધામના અંતરજાળ ગામમાં આવેલા પાતળિયા હનુમાન મંદિર પાસેના તળાવમાં બાઈક ધોવા ગયેલા બનાસકાંઠાના બે યુવકો ડૂબી જતાં તેમના કરુણ મોત થયા છે. મૃતકોમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના ૨૦ વર્ષીય સંજય મોદી અને થરાદ તાલુકાના વાઘાસણ ગામના ૨૮ વર્ષીય ઈશ્વર મોદીનો સમાવેશ થાય છે.

આ બંને યુવકો સંબંધમાં સાળા-બનેવી થતા હતા.બપોરે બાઈક ધોવા જવાનું કહીને ઘરેથી નીકળેલા સંજય અને ઈશ્વર મોડી સાંજ સુધી પરત ન ફરતાં તેમના મોટાભાઈ સુરેશે તળાવ પાસે તપાસ કરી હતી. તેમને ત્યાં ફક્ત બાઈક અને ચંપલ જોવા મળ્યા હતા, જેથી તેમણે તાત્કાલિક પોલીસ અને તરવૈયાઓને જાણ કરી હતી.ગાંધીધામના મામલતદાર સહિતની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

મોડી રાત્રે ૧ઃ૧૦ વાગ્યે સંજયનો મૃતદેહ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઈશ્વરનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સંજય તળાવમાં લપસી પડ્યો હતો, અને તેને બચાવવા જતાં ઈશ્વર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે બંનેના મોત થયા હતા.આ બચાવ કામગીરીમાં પોલીસ, મામલતદારની ટીમ, ખારીરોહરના તરવૈયાઓ અને ગાંધીધામ રેસ્ક્યૂ ટીમે બોટ દ્વારા આખી રાત શોધખોળ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.