Western Times News

Gujarati News

અમદાવાદ રહેવા માટે બન્યું પસંદગીનું શહેર: BRTS, મેટ્રો, રેલવે અને એર કનેક્ટિવિટીથી ઇઝ ઓફ લિવિંગમાં વધારો

શહેરી વિકાસના 20 વર્ષ -આધુનિક પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય સંચાલનથી કૉલ્ડપ્લે અને IPL ફાઇનલ જેવી ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન

ગાંધીનગર, : શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું. આજે વર્ષ 2025માં ગુજરાતની શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાતના શહેરો અદ્દભૂત શહેરીકરણના સાક્ષી બન્યા છે.

આધુનિક સમયને અનુરૂપ ગુજરાતના શહેરોનો સુઆયોજિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નીતિઓ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધપાત્ર શહેરીકરણ જોવા મળી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બજેટ 2025-26માં 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં વર્લ્ડક્લાસ પરિવહન સુવિધાઓથી સુખાકારીમાં વધારો
હેરિટેજ શહેર અમદાવાદ આજે આધુનિક ટ્રાન્સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. નાગરિકોની સુખાકારીમાં સતત વધારો કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અલગ અલગ સ્તરે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

આજે અમદાવાદમાં બીઆરટીએસ, મેટ્રો તેમજ રેલવે અને એર કનેક્ટિવિટીની વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓના યોગ્ય મેનેજમેન્ટથી અમદાવાદમાં વિશ્વકક્ષાની કૉલ્ડપ્લે જેવી ઇવેન્ટ તેમજ આઇપીએલની ફાઇનલ જેવી મહત્વપૂર્ણ ક્રિકેટ મેચનું આયોજન સહજતાથી થઇ રહ્યું છે.

જનમાર્ગ બીઆરટીએસ: બસ પરિવહનનું ગ્લૉબલ મોડલ
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ બીઆરટીએસ બસ પ્રોજેક્ટ સૌથી સફળ પ્રોજેક્ટ છે, જે હેઠળ 350 ઇલેક્ટ્રિક બસો આજે 16 રૂટ્સ પર દોડી રહી છે, અને પ્રતિદિન આશરે 1.5 લાખ મુસાફરો તેનો લાભ લઇ રહ્યા છે. દેશ વિદેશના ડેલિગેશન આ સફળ પ્રોજેક્ટને સમજવા માટે મુલાકાત લઇ ચૂક્યા છે અને અમદાવાદ બીઆરટીએસની અભૂતપૂર્વ કામગીરીના લીધે વિવિધ એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે. અમુક એવોર્ડ્સ આ પ્રમાણે છે:

JnNURM યોજના હેઠળ “શ્રેષ્ઠ માસ ટ્રાન્ઝિટ રેપિડ સિસ્ટમ પ્રોજેક્ટ – 2009” માટે રાષ્ટ્રીય પુરસ્કાર
વોશિંગ્ટન ડીસી, યુએસએ ખાતે “સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ એવોર્ડ – 2010” આંતરરાષ્ટ્રીય પુરસ્કાર.
યુઆઇટીપી, જર્મની તરફથી “જાહેર પરિવહનમાં ઉત્કૃષ્ટ નવીનતાઓ – 2010” માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર
અર્બન મોબિલીટી એવોર્ડ (ITMS_AFCS).

અમદાવાદ મેટ્રો: ઝડપી અને સલામત પરિવહન
અમદાવાદ મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન 2019માં કરવામાં આવ્યું હતું. પ્રથમ ફેઝમાં 32 કિલોમીટર સુધી પૂર્વ-પશ્વિમ અને ઉત્તર-દક્ષિણ કૉરિડોરને જોડવામાં આવ્યા છે જેમાં 32 સ્ટેશન છે. બીજા ફેઝનો શુભારંભ વર્ષ 2024માં કરવામાં આવ્યો હતો જેમાં 8 સ્ટેશન સાથે 21 કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે મેટ્રો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને ગાંધીનગરના પ્રમુખ સ્ટેશનોને જોડે છે. 68 કિલોમીટર અને 54 સ્ટેશનના કુલ નેટવર્ક સાથે કનેક્ટિવિટીમાં વધારો થયો છે અને શહેરી વિસ્તારમાં મુસાફરીના સમયમાં પણ બચત થઇ છે.

રેલવેનું મોડર્નાઇઝેશન: વંદે ભારત ઇલેક્ટ્રિફિકેશન
અમદાવાદ શહેરને મળતી રેલવે કનેક્ટિવિટીમાં પણ નોંધપાત્ર સુધારા થયા છે. અમદાવાદ-ઓખા અને અમદાવાદ-વેરાવળ જેવી અદ્યતન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સેવા મળવાથી નાગરિકો ઓછા સમયમાં આરામદાયક મુસાફરીનો અનુભવ મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. ત્યારબાદ અન્ય ત્રણ વંદે ભારત ટ્રેન ગુજરાતમાં શરૂ કરવામાં આવી, જેમાં જોધપુર-સાબરમતી (અમદાવાદ), અમદાવાદ-ઓખા અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે. તે સિવાય સાબરમતી-બોટાદ સેક્શન સહિત ગુજરાતના રેલવે રૂટના ઇલેક્ટ્રિફિકેશનથી ટકાઉ અને પ્રભાવી રેલ ટ્રાન્સપ્રોર્ટ સુનિશ્વિત થઇ રહ્યું છે.

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી દોડશે
14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.

20 મે, 2025ના રોજ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનિ વૈષ્ણવે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અત્યાર સુધી 300 કિલોમીટર વાયાડક્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદ અને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ: એર ટ્રાવેલ અને મલ્ટીમોડલ જોડાણ
અમદાવાદમાં એર કનેક્ટિવિટી માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મહત્વપૂર્ણ ગેટવે છે. ₹1305 કરોડના ખર્ચે અમદાવાદથી 50 કિમીના અંતરે ધોલેરા ઇન્ટરનેશન એરપોર્ટનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જેના માટે અમદાવાદ- ધોલેરા એક્સપ્રેસ વે અને એર પોર્ટ લિંક રોડ દ્વારા કનેક્ટિવિટી મળશે.

આગામી સમયમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યાન્વિત થઇ જવાથી એર કનેક્ટિવિટી વધુ સુગમ બની જશે. તેના લીધે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને રોજગારીની નવીન તકો ઉત્પન્ન થશે.

અટલ બ્રિજ બન્યું આકર્ષણનું કેન્દ્ર
વર્ષ 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, જે શહેરના પૂર્વ અને પશ્વિમ કાંઠાને જોડે છે. રિવરફ્રન્ટ પર બનેલા આ બ્રિજની અમદાવાદના કાઇટ ફેસ્ટિવલથી પ્રેરિત છે. 300 મીટર લાંબા આ બ્રિજની વિશેષ ડિઝાઇન અને સૌંદર્ય દેશ -વિદેશના લોકોને આકર્ષે છે.

સેતુ ભારતમથી રોડ સુરક્ષા
વર્ષ 2016માં જાહેર થયેલા સેતુ ભારતમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેના લીધે અમદાવાદમાં વિવિધ રેલવે ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે ક્રોસિંગથી મુક્ત બનાવવાનો છે જેથી રોડ સુરક્ષામાં વધારો કરીને મુસાફરીના સમયમાં ઘટાડો કરી શકાય. ફાટક મુક્ત અભિયાન અંતર્ગત અત્યાર સુધી 26 રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શહેરી આયોજન અને ટકાઉ વિકાસ
અમદાવાદનું પરિવહન અને તેનું સંચાલન એક વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે જે ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત છે. બીઆરટીએસ, મેટ્રો, રેલવે અને અન્ય પરિવહન વિકલ્પો (સાઇક્લિંગ, વોકિંગ પાથ વગેરે.)ના જોડાણથી અમદાવાદ રહેવા માટે એક બેસ્ટ ઓપ્શન બન્યું છે નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાની સાથે એક ટકાઉ અને પર્યાવરણ સાથે સંતુલિત વિકાસ તરફ અગ્રેસર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.