દાણીલીમડામાં બિલ્ડર પાસે રૂપિયા પરત માગતા વેપારીને તલવારના ઘા માર્યા

અમદાવાદ, દાણીલીમડામાં વેપારીએ રૂપિયા પરત માગતા બિલ્ડર સહિત ચાર શખ્સોએ વેપારીને તલવારનો ઘા મારીને લોહીલુહાણ કર્યાે હતો. વેપારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર બિલ્ડરે કાલુપુરમાં ફ્લેટની સ્કીમ બહાર પાડી હતી. આ સ્કીમમાં વેપારીએ રૂપિયા આપીને ફ્લેટ બુક કરાવ્યો હતો.
પરંતુ બાદમાં ગેરકાયદે જગ્યા પર બિલ્ડરે ફ્લેટ બનાવ્યો હોવાથી એએમસીએ તોડી પાડ્યો હતો. જેથી વેપારીએ રૂપિયા પરત માગતા તલવારના ઘા માર્યા હતા. આ અંગે વેપારીએ બિલ્ડર સહિત ચાર શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દરિયાપુરમાં રહેતા અબ્દુલસમદ શેખ સ્ક્રેપનો ધંધો કરે છે. પાંચેક વર્ષ પહેલા અબ્દુલરહેમાન પઠાણે કાલુપુરમાં ફ્લેટની સ્કીમ બહાર પાડી હતી. તેમાં વેપારી અબ્દુલસમદે પોતાનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને એડવાન્સ પેટે રૂ.૭ લાખ બિલ્ડરને આપ્યા હતા.
છ મહિના બાદ ગેરકાયદે જગ્યા પર સ્કીમ બનાવી હોવાથી એએમસીએ ફ્લેટને તોડી પાડ્યો હતો. ત્યારબાદ વેપારી અબ્દુલસમદે બિલ્ડર અબ્દુલ રહેમાન પાસે ફ્લેટના એડવાન્સ પેટે જે રૂપિયા આપ્યા હતા તે પરત માગતા રૂ.૧.૮૦ લાખ આપ્યા હતા. બાકીના રૂ.૫.૨૦ લાખ આપ્યા ન હતા. ગત ૧૮મેએ વેપારીએ બિલ્ડર અબ્દુલ રહેમાનને ફોન કરીને રૂપિયાની માગણી કરતા તેને અબ્દુલસમદને દાણીલીમડામાં આવેલી બીજી નવી સાઇટ બનતી હતી, ત્યાં બોલાવ્યો હતો.
જેથી અબ્દુલસમદ ત્યાં ગયો હતો. ત્યાં અબ્દુલ રહેમાન, તેનો ભાઇ અબ્દુલ રજાક, અબ્દુલરૌફ તથા સાજીદ ત્યાં હાજર હતા. ત્યારે હિસાબ કરતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જેથી ચારેય શખ્સોએ ઉશ્કેરાઇને વેપારી અબ્દુલસમદને માર મારીને તલવારનો ઘા મારીને લોહીલુહાણ થતા તે ત્યાંથી ભાગી ગયા હતા.
વેપારીએ મિત્રને ફોન કરીને બોલાવ્યો અને સારવારઅર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે અબ્દુલસમદે ચારેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS