કલ્યાણી શાળામાં વાર્ષિકોત્સવની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી
(પ્રતિનિધિ)વલસાડ વલસાડ નજીક આવેલ અતુલ ની કલ્યાણી શાળામાં “ ચાલો બદલીએ દ્રષ્ટિકોણ Lª’s Change Perspective ” થીમ આધારિત વાષિકોત્સવ -૨૦૨૩ની ભવ્ય અને રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.જેનાં મુખ્ય મહેમાન પદે ડો.પવન દ્રિવેદી સર (ડેપ્યુટી રજીસ્ટાર પારુલ યુનિ. વડોદરા) ની પ્રેરક ઉપસ્થિતિમાં તથા સંસ્થાનાં ચેરપર્સન અને સૌના ઉર્જા સ્ત્રોત એવા માનનીય ડૉ. વિમળાબેન એસ લાલભાઇ તથા શાળાનાં ટ્રસ્ટી કુ. સ્વાતીબેન એસ લાલભાઇ તથા અન્ય ટ્રસ્ટી ગણ , આચાર્ય સંઘનાં પ્રમુખ ,ઉપપ્રમુખ તથા અન્ય શાળાનાં આચાર્ય મિત્રો તથા વિશાળ સંખ્યામાં વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન ડો.પવન દ્રિવેદી સરે આપણી પરંપરા, સંસ્કૃતિ તથા વિશ્વમાં ભારતનાં સ્થાન અને મહત્વની ઝાંખી તેમના પ્રભાવશાળી વકતવ્યમાં આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ હતુ કે જેમને કલ્યાણી શાળાનો ભવ્ય ભૂતકાળનો વારસો મળ્યો છે. તેમણે તે પરંપરા જાળવી અને જીવનમાં શ્રેષ્ઠતમ શિખરે પહોચવાની હાકલ કરી હતી.
કાર્યક્રમની શરુઆત વાંસળીનાં મધુર સૂરો સભર પ્રાર્થનાં કલ્યાણી ગીતથી થઇ હતી. આચાર્યશ્રી સુનીલ પટેલે સૌને શાબ્દિક રીતે આવકાર્યા હતા. શાળાનાં વિદ્યાર્થીઓએ શાળાની પ્રગતિની ઝાંખી કરાવી હતી.
ત્યાર બાદ બે કલાક સુધી સંગીત ,નૃત્ય, અભિનય ,નાટ્ય રાશ ,ગરબા, તથા હ્દયને રણઝણાવતા ગીતોની વણઝાર થકી શ્રોતાઓ,મહેમાનોને ડોલાવ્યા અને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતે તમામ શિક્ષકો અને વિદ્યાર્થી કલાકારોએ સ્ટેજ પર હાજર રહી શ્રોતાઓનું અભિવાદન ઝીલ્યું હતું ત્યાર બાદ મહેમાનોને સ્મૃતિભેટ અર્પણ અને આભારવિધિ અને રાષ્ટ્ર ગાનથી કોરોનાં કાળ પછી પ્રથમ વખત એક ભવ્ય અને અદિત્ય કાર્યક્રમનું સમાપન થયું હતું.