રાજકોટ એરપોર્ટ પર ટેકનિકલ ખામીથી અંધાધૂંધી, ફ્લાઇટ ડાયવર્ટ

રાજકોટ, રાજકોટ એરપોર્ટ પર આજે સવારે ઇલેક્ટ્રોનિક ચેક-ઇન સિસ્ટમ ખોટકાઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અનેક મુસાફરો એરપોર્ટમાં ફસાઈ જતાં હોબાળો થયો હતો.
આ ટેકનિકલ ખામીના કારણે મુંબઈથી રાજકોટ આવતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર ૬ઈ ૫૩૨૧ને વડોદરા ડાયવર્ટ કરવી પડી હતી. રનવે પર ઉતરવાની મંજૂરી ન મળતા આ ફ્લાઇટને વડોદરા વાળવામાં આવી હતી.
બીજી તરફ, એરપોર્ટ પર આટલી મોટી સમસ્યા સર્જાઈ હોવા છતાં, એરપોર્ટ ડાયરેક્ટર બોહરા સહિતના અધિકારીઓએ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા અને મુસાફરોને કોઈ માહિતી ન આપતા તેઓ હેરાન થયા હતા.
ઇન્ડિગો એરલાઇન્સના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર ઓપરેશનલ ઇશ્યુના કારણે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરાઈ હતી, જ્યારે અમુક સૂત્રોએ ફ્યુઅલનો ઇશ્યુ હોવાનું જણાવ્યું હતું. ઇન્ડિગોના જવાબદાર અધિકારીઓ પણ અલગ અલગ કારણો આપી રહ્યા હતા.
જોકે, દોઢ કલાક બાદ વડોદરા ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ ફરી રાજકોટ પરત લવાઇ હતી.આ પહેલા આજે સવારે પણ એર ઇન્ડિયાની ચેક-ઇન સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. પરિણામે ચેક-ઇનની પ્રક્રિયા મેન્યુઅલી કરવી પડતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
થોડા દિવસો પહેલા રાજકોટના એક જાણીતા તબીબે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એસી અને મોબાઇલ નેટવર્કની અપૂરતી સુવિધા અંગેનો વિડીયો વાયરલ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટની પોલ ખોલી હતી. રાજકોટનું નવું એરપોર્ટ બન્યું ત્યારથી વિવાદોમાં જ રહ્યું છે અને એરપોર્ટ કરતાં તેના અધિકારીઓની નીતિ-રીતિ વધુ વિવાદોમાં રહી છે.SS1MS