ટેકનોલોજી હાવી થશે તો ન્યાયતંત્ર પરથી પ્રજાનો વિશ્વાસ ડગી જશે : CJI

ટેકનોલોજીના સંકલન માટેની ઉતાવળમાં માનવતા ન ભૂલવા અનુરોધ
ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે ટેન્કોલોજી દરેકને ન્યાય સુનિશ્ચિત કરવાનું માધ્યમ હોવું
જોઈએ
નવી દિલ્હી,ન્યાયતંત્રમાં ટેકનોલોજીને પ્રાધાન્ય આપવા સામે ચેતવણી આપતા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે જો ટેકનોલોજી હાવી બનશે તો ન્યાયતંત્રમાં જનતાનો વિશ્વાસ ડગમગી જશે અને તેથી અદાલતોએ માનવતાને નજરઅંદાજ ન કરવી જોઇએ. કાયદાકીય જોગવાઈઓનું અર્થઘટન વ્યવહારિક હોવું જોઈએ અને વેપારને અવરોધતું ન હોવું જોઈએ.CJIએ ૪મેએ લંડનમાં બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ કમ્પેરેટિવ લો ખાતે ‘કોટ્ર્સ, કોમર્સ અને કાયદાનું શાસન’ થીમ પર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
આ સંબોધનમાં CJIએ ડિજિટલ યુગમાં કોમર્સ અને કાયદાના શાસનના ખ્યાલને સંતુલિત કરવામાં ન્યાયતંત્રની ભૂમિકા પર ભાર મૂકીને જણાવ્યું હતું કે અદાલતોએ વ્યાપારી વ્યવહારિકતા સાથે આ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવાની જરૂર છે.ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે ટેન્કોલોજી દરેકને ન્યાય સુનિશ્ચિત કરવાનું માધ્યમ હોવું જોઈએ. જે ક્ષણે આપણે ન્યાયતંત્રમાં ટેકનોલોજીને મુખ્ય સ્થાન આપીશું ત્યારે આપણે જનતાનો આપણા પરનો અને તેની સાથે કાયદાના શાસનના પાયા પરનો વિશ્વાસ નાબૂદ થશે. ટેકનોલોજીના સંકલન માટેની ઉતાવળમાં આપણે આપણી માનવતાને ભૂલવી ન જોઈએ.અદાલતોમાં દરેક કેસ ન્યાય માટેની આશા અને શ્રદ્ધા સાથે આવે છે.