પ્રા.શાળામાં ૮ વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ ઢોર માર મારતા ફરિયાદ
(પ્રતિનિધિ) નડિયાદ, પ્રા. શાળામાં ૩ તાલીમાર્થી શિક્ષકોએ શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને કશુ આવડતુ નથી અને લેશન લાવવા બાબતે શિક્ષકોએ આક્રમક વલણ દાખવતાં મામલો ગરમાયો હતો. ત્રણેય તાલીમાર્થી શિક્ષકો સામે FIR નોધાઇ છે
મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના આગરવા ગામની પ્રાથમિક શાળા આવેલા ૩ તાલીમાર્થી શિક્ષકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે આક્રમક વલણ દાખવતાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે મામલો ગરમાયો હતો. આજે શનીવારે કેટલાક વાલીઓ આ બાબતે શાળામાં રજૂઆત કરવા જતાં આ ૩ તાલીમાર્થી શિક્ષકો ઊંધી પુંછડીએ શાળામાંથી ભાગી ગયા હતા.
જેથી છેવટે આ મામલો ડાકોર પોલીસમાં પહોંચ્યો છે.જ્યાં પોલીસે વાલી જશુભાઈ સુકાભાઈ રાઠોડની ફરિયાદના આધારે તાલીમાર્થી શિક્ષક હર્ષિલભાઈ, ધનરાજસિહ અને એક તાલીમાર્થી શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં વાલીઓનો આરોપ છે કે, આ તાલીમમાર્થી શિક્ષકોએ છોકરાઓને ખોટી રીતે કનડગત કરતા હતા.
લાકડાની ડંડી તથા લોખંડની ફુટપટ્ટી વડે મારમારતા હોય અને કહેતા કે ‘ગધેડાઓ તમને કશું આવડતું નથી અને લેસન લાવતા નથી તમારા ટાંટિયા તોડી નાખીશું’ તેવી વાત કરતા હતા. લગભગ ૮ વિદ્યાર્થીઓને આ રીતે ગંભીર માર મારતા મામલો ગરમાયો હતો.
આક્રોશ સાથે વાલીઓ શાળાએ આ તાલીમાર્થી શિક્ષકોને મળવાનો પ્રયત્ન કરતા આ ત્રણેય તાલીમાર્થી શિક્ષકો ભાગી ગયા હતા. આ જે શિક્ષકો સામે ફરિયાદ થઈ છે તે પૈકી એક ધનરાજ નામનો શિક્ષક આચાર્યનો પુત્ર થાય છે. લગભગ છેલ્લા ૪ દિવસથી વિદ્યાર્થીઓને મારમાવમા આવતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આથી ન્યાય મેળવવા માટે આ તમામ વાલીઓએ ડાકોર પોલીસમાં પહોંચ્યા છે.