મણીનગર લાલ બસના ડ્રાઈવરો બસ સ્ટેન્ડે બસ ઊભી નહી રાખતા હોવાની ફરિયાદ

File
મણીનગર કંટ્રોલ કેબીન પર કાગળ ચોંટાડી આદેશ: બસ ઉભી રાખો નહિ તો કાર્યવાહી કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં જાહેર પરિવહન માટે એ.એમ.ટી.એસ. બસની સુવિધા મુખ્ય વ્યવસ્થામાંની એક ગણાય છે તેનું સંચાલન ખૂબ જ સારી રીતે થઈ રહયુ છે. હવે તો લાલબસમાં પણ આધુનિકરણ થયું છે. એસી બસો રસ્તા પર દોડતી જોવા મળી રહી છે. લાલદરવાજાનું બસ ટર્મીનસ તો એકદમ વિદેશના બસ સ્ટેન્ડો કરતા પણ ભવ્યાતિભવ્ય લાગે છે.
જરા પણ ગંદકી નહી વેલડીસીપ્લેન મેઈન્ટેઈનને કારણે બસ સ્ટેન્ડો અગાઉના બસ સ્ટેન્ડો કરતા આકર્ષક લાગે. બેસવાની જગ્યા પણ સારી છે. લગભગ મોટાભાગના ટર્મિનસ સેન્ટરો નવા બનવાની સાથે આકર્ષક બન્યા છે. પણ લાલબસ માટે વર્ષોથી એક મોટી સમસ્યા જોવા મળી રહી છે કે બસના ડ્રાઈવરો- કંડકટરો તમામ નહી, પરંતુ અમુક પ્રમાણમાં સંખ્યા ધરાવે છે કે જેઓ બસ ઉભી રાખતા નથી.
મુસાફરો ફરિયાદ કરે છે તેની નોંધ હવે લેવામાં આવી રહી છે. મણીનગર લાલબસના ટર્મીનસ પર કંટ્રોલ કેબીનની બહાર ડ્રાઈવર-કંડકટરોને ઉદ્દેશીને એક ખાસ આદેશવાળો કાગળ ચોંટાડવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મણીનગરથી ઉપડતી બસો નજીકના વિવિધ બસ સ્ટેન્ડો પર ઉભી રાખવામાં આવતી નથી આ અંગે અનેક ફરિયાદો મળી છે. જો મણીનગર વિસ્તારમાં નિયત કરેલા તમામ બસ સ્ટેન્ડો પર ફરજીયાત રીતે બસ ઉભી રાખવામાં નહી આવે અને આદેશનું પાલન નહી થાય તો જે તે ડ્રાઈવર-કંડકટર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આનો સીધો મતલબ એ થયો કે બસ ઉભી રાખવામાં આવતી નહી હોય, લાલબસના મોટાભાગના તમામ ડ્રાઈવરો બસ સ્ટેન્ડે બસ ઉભી રાખતા હોય છે તેમ છતાં વ્યાપક ફરિયાદ મળી હોય ત્યાર પછી જ આ પ્રકારે સૂચના લખવામાં આવતી હોય તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. અમુક લાલબસો બી.આર.ટી.એસી. બસ સ્ટેન્ડમાંથી પસાર થાય છે
પરિણામે અજાણ્યો વ્યક્તિ તો લાલબસના બસ સ્ટેન્ડે બસની રાહ જોતો ઉભો રહી જાય છે ખરેખર તો કઈ-કઈ લાલબસો બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડમાંથી પસાર થશે અને કયા માર્ગ પર ઉભી રહેશે તે અંગેની યાદી બહાર પાડવી જોઈએ. લાલબસના ડ્રાઈવરો તમામ સ્થળે બસ ઉભી રાખે તે જરૂરી છે. પહેલાના સમયમાં કંડકટર બે ટોકરી મારે ત્યારે બસ ઉપડતી હતી અને એક ટોકરીએ બસ ઉભી રહેતી હતી.
અત્યારે તો કંડકટરોને એવો કોઈ સમય જ હોતો નથી રૂ.ર૦-૪પ વાળી ટીકીટે કંડકટરોનું કામ ઘણુ ઓછું કરી નાખ્યું છે. સ્ટુડન્ટો જોડે પાસ હોય છે નોકરિયાત વર્ગ પણ પાસ નીકાળે છે. કંડકટરોને તેથી જલસા છે યુવાન કંડકટરો તો મોબાઈલ જોવામાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. સિનિયર ડ્રાઈવરો ઘણી વખત તો કંડકટરને ટોકે પણ છે. એ જે હોય તે પણ લાલબસના ડ્રાઈવરો પેસેન્જરને જોઈને બસ ઉભી રાખે તે આવશ્યક અને જરૂરી છે.