ગુજરાતમાં ફરી કોરોના બાળકો માટે ખતરારૂપ બન્યો

અમદાવાદ, કોરોનાએ લોકોને એવા દિવસો બતાવ્યા કે જે તેમણે અગાઉ ક્યારેય જાેતા નહોતા. તમામ ઉંમરના લોકોને કોરોનાએ પોતોના ભરડામાં લીધા હતા. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસની અંદર બે બાળકોના મોતની ઘટના ધ્રૂજાવનારી છે. મહેસાણા બાદ અમદાવાદમાં ૧૩ વર્ષની બાળકીનું કોરોનાથી મોત થયું છે. કોરોનાની સાથે મિશ્ર ઋતુના લીધે રોગચાળો પણ સતત વધી રહ્યો છે.
વાયરલ ઈન્ફેક્શન અને કોરોનાના લક્ષણો એક સરખા હોવાથી લોકો મુઝવણમાં મુકાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાથી મહેસાણા બાદ ૨૩મી માર્ચે અમદાવાદની ૧૩ વર્ષની બાળકીનું મોત થયું છે. રાજ્યમાં હાલ ૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૧૭૫ દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા ૧૨,૬૭,૨૯૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
એક્ટિવ કેસ અને ફરી એકવાર મોતના આંકડા સામે આવતા લોકો ચિંતિત થયા છે. ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧૭૯ થઈ ગઈ છે.
રાજ્યમાં દર કલાકે ૧૧ લોકો કોરોનામાં સપડાઈ રહ્યા છે. એક દિવસમાં વધુ ૨૬૨ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ દિવસમાં બે બાળકોના મોત થયા છે. આ સિવાય ૧૦ માર્ચે સુરતના એક દર્દી પછી ૨૧ માર્ચે ભરૂચના ૮૧ વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગાચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
કોરોના, H3N2 અને વાયરલ ઈન્ફેક્શનના લક્ષણો એક સમાન છે ત્યારે ડૉક્ટર દ્વારા લોકોને ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જેમાં બાળકો અને મોટી ઉંમરના લોકોની વધુ સાવચેતી રાખવાની જરુર હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે.
સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. એકાદ બે માવઠાના બદલે રાજ્યભરમાં ઠેરઠેર જાણે ચોમાસાની શરુઆત થઈ હોય તે રીતે સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે.
આવામાં ખેતી અને કેરી સહિતના પાકો પર માઠી અસર પડવાની સાથે સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.SS1MS