Western Times News

Gujarati News

ડભોઇનું બાણેજ ગામ બન્યું પાણીના મિટર મૂકનારૂ જિલ્લાનું પ્રથમ ગામ

૨૪ કલાક પાણી વિતરણ છતાં મિટર મૂકવાથી ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ માટે આવી સ્વયંશિસ્ત

પહેલા ૧૮ કલાક સુધી મોટર ચાલું રાખી પાણી અપાતું અને હવે વિતરણ માટે માત્ર ૬ કલાક મોટર ચાલું રહે છે

આલેખન – દર્શન ત્રિવેદી

(વડોદરાતા.૦૨ જૂન ૨૦૨૫, સોમવાર) ડભોઇ તાલુકામાં આવેલા ઐતિહાસિક ગામ બાણજમાં જલ જીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે ૨૪ કલાક પાણી મળતું થયું છે. ગામમાં પાણીના વપરાશ માટે મિટર મૂકવામાં આવ્યા છે. પાણી બચાવવા માટે ઘરે ઘરે મિટર મૂકવાની વ્યવસ્થામાં બાણજ ગામ જિલ્લામાં પ્રથમ છે. જેના કારણે પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાની સ્વયંશિસ્ત પણ આવી છે.

બાણજ ગામના તોરણ ગાયકવાડ સરકારના કાળમાં બંધાયા હતા. ગામના પાદરમાં જ ૨૨ વિઘાનું ક્ષેત્રફળ ધરાવતું તળાવ ભરઉનાળે પણ ભરાયેલું રહે છે. તેના કાંઠે જ પ્રાચીન વડલો ગામને ભવ્યતા બક્ષે છે. તળાવની સામે નાની ટેકરી છે. ત્યાં પણ ગામના લોકો વસે છે. તેના કારણે વર્ષ ૨૦૧૭ પૂર્વે પાણી વિતરણની સમસ્યા રહેતી હતી. ઉંચાણ વાળા વિસ્તારમાં પાણી પૂરતા ફોર્સથી મળે નહી. ગ્રામજનોએ ઘર સુધી પાણી મેળવવા મોટર મૂકવી પડે એવી સ્થિતિ હતી.

વળી પંચાયતની સ્થિતિ પણ કપરી હતી. કારણ કે, સમગ્ર ગામમાં પાણી પહોંચાડવા માટે ૫૦ હજાર લિટરની ઓવરહેડ ટાંકી ભરવા માટે ૧૬થી ૧૮ કલાક મોટર શરૂ રાખવી પડતી હતી. એમાં ક્યારેક લાઇન ના હોય કે મોટર બળી જવાના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જતી હતી. આવા સંજોગોમાં પાણી વિતરણ વ્યવસ્થાને દુરસ્ત કરવામાં મદદે આવી રાજ્ય સરકારની સંસ્થા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) !

ગામના સરપંચ શ્રીમતી મોનાબેન રાજેશભાઇ બારોટ કહે છે, વર્ષ ૨૦૧૭માં ગ્રામ પંચાયતે પાણી વિતરણ વ્યવસ્થાને નવી કરવાનું નક્કી કર્યું.  જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા રૂ.૧૧.૨૧ લાખ કિંમતની યોજના મંજુર કરવામાં આવી. જેમાં ૯૦ ટકા રકમ સરકારશ્રી દ્વારા તથા ૧૦ ટકા રકમ ગ્રામજનોએ ઘર ઘરથી ઉઘરાવીને લોકફાળા રૂપે રૂ. ૧.૧૨ લાખની રકમ એકઠી કરી હતી.

આ યોજના અંતર્ગત ગામમાં દરેક શેરીમાં પાણી વિતરણ પાઇપલાઇન, પાણી સંગ્રહની ટાંકી રિપેરીંગ, પમ્પ હાઉસ સહિતના ઘટકોની અમલવારી કરવામાં આવી હતી અને દરેક ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા છે. દરેક ફળિયામાં પુરતુ અને નિયમિત પાણી મળી રહે અને પાણીનું એકસરખુ વિતરણ થાય તે હેતુથી ૬ વાલ્વ સીસ્ટમ નાખવામાં આવી છે. તેમ વાસ્મોના શ્રી ભરત પટેલ કહે છે.

તદઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા નદી કેનાલથી પાણી મેળવી તેને શુદ્ધિકરણ પ્લાટથી શુદ્ધ  કરીને ડભોઇ જુથ પાણી પૂરવઠા યોજના હેઠળ ગામના પાણી સંગ્રહના સમ્પમાં આપવામાં આવ્યુ છે. આ સમ્પથી ગામની ૧૨ મીટર ઉચી ટાંકીમાં ચઢાવીને ઘર ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે.

હવે, ગામમાં આવેલા ૨૨૦ ઘરમાં પાણી વપરાશના મિટર મૂકવામાં આવ્યા છે. તેના કારણે ઘરમાં પાણી કેટલું વપરાય છે, તેનો ખ્યાલ આવી શકે ! પાણીના મિટર મૂકવામાં આવ્યા એ બાદ પરિવર્તન એ આવ્યું કે, ગ્રામજનોમાં પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરવાની સ્વયંશિસ્ત આવી. પાણીનો બગાડ અટક્યો. હવે તો કોઇ ગ્રામજન બહાર જાય તો પણ પાણીના નળને તાળું મારીને જાય છે.

વળી, ગામની પાણીની ટાંકીમાં ઓટોમેટિક સિસ્ટમ મૂકવામાં આવી છે. પાણી ખાલી જાય એટલે તુરંત મોટર શરૂ થઇ જાય છે. એના કારણે પહેલા ૧૬થી ૧૮ કલાક પાણીની મોટર શરૂ રહેતી એ હવે દિવસમાં માત્ર ૬ કલાક જ ચાલું રહે છે. મોટર બળી જવાના કિસ્સા ઘટ્યા છે. આ ઉપરાંત ટેકરા ઉપર આવેલા ઘરના ત્રીજા માળ સુધી પણ પ્રેશર સાથે પાણી ચઢી જતું હોવાથી ગ્રામજનોને પોતાની મોટર મૂકવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને તેનાથી વીજ બચત થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.