દહેજની કંપનીનો પ્લાન્ટ શરૂ થાય તે પહેલાં જ ભડકે બળ્યો

પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ પ્લાન્ટ તૈયાર કરી પ્રોડક્ટ બનાવવા ટ્રાયલ લેતી વેળા આગ ભભૂકી ઉઠી ઃ આગમાં બે કામદારો દાઝતા સારવાર હેઠળ
(પ્રતિનિધિ) ભરૂચ, દહેજ જીઆઈડીસીમાં સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી મેળવ્યા બાદ પ્લાન્ટ સ્થાપી શરૂ કરે તે પહેલા જ ટ્રાય લેતા ભડકે બળતા મેજર કોલ મળતા ફાયર ફાયટરો દોડતા થયા હતા.જોકે આગમાં બે કામદારો દાઝતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના પ્લોટ નંબર સીએચ ૧૮,૧૯/૨ માં આવેલ રવિવારના સાંજના અરસામાં કોઈ અગમ્ય કારણસર અચાનક બ્લાસ્ટ થયા બાદ કંપનીમાં આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા સમગ્ર બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી જતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી.
જોકે આગની ઘટનાની જાણ થતાં દહેજ ફાયર વિભાગ તેમજ આસપાસની કંપનીઓ માંથી ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસ કર્યાં હતા.આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા.આસપાસ કેમિકલ કંપનીઓ હોવાથી આસપાસના લોકોમાં ચિંતા પ્રસરી હતી.
આગની જાણ થતાં દહેજ પોલીસનો કાફલો, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ સહિત મામલતદાર અને જીપીસીબીની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી આગ કેવી રીતે ઝડપી થી કાબુમા આવે તે માટેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.તો આગ ભયંકર હોવાના કારણે ૮ થી ૧૦ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ભયંકર આગમાં બે કામદારો ચિરાગ નિઝામા અને સાવન દેવચંદ દાઝ્યા હતા.જેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તો આગથી બચવા માટે એક કર્મચારી કંપનીના ધાબા પર ચઢી ગયો હતો જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે ક્રેન મારફતે રેસ્ક્યુ કરી સહી સલામત નીચે ઉતાર્યો હતો.
ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી જાગૃતિ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત રસાયણ કંપનીની સામે અને ઈન્ડોર રેઝીંગ કંપનીની બાજુમાં આવેલી શ્વેતાયન કેમ ટેક કંપનીમાં આગ લાગી હતી.
જેમાં ત્રણ કામદારોને ઈજા થઈ હતી.જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.કંપની દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૪ માં ૨૦ કામદારોનું લાયસન્સ લીધું હતું અને પ્લાન્ટ હજુ ચાલુ થયો ન હતો.પરંતુ પ્રોડક્ટ બનાવવા ટ્રાયલ લેવામાં આવતો હતો આ દરમ્યાન આગ લાગી હોવાનું સામે આવ્યું છે.વધુ માહિતી માટે લાયસન્સ મેળવનાર પ્રભુલાલ સંઘાણી પાસેથી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
વાગરા મામલતદાર મીનાબેને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ હાલમાં કાબુમાં છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ય્ઁઝ્રમ્ ના રિજનલ ઓફિસર કિશોરસિંહ વાધમસીએ જણાવ્યું હતું કે આગ લાગતા અમારી ટીમે ઈન્સ્પેક્શન કર્યું હતું.જેમાં કંપનીએ મંજૂરી મેળવી પ્લાન્ટ તૈયાર કર્યો હતો અને ટ્રાય દરમ્યાન આગ લાગી હોવાનું સામે આવ્યું છે.જેથી રિપોર્ટ કરી વડી કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખની કંપનીએ સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ૦૨-૦૬-૨૦૨૧ ના રોજ પર્યાવરણ મંજૂરી મેળવી હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ કંપનીમાં ફાયર સેફ્ટી હતી કે નહીં તે દિશામાં પણ તંત્ર તપાસ કરે તે જરૂરી છે.