કેરળ સહિત ભારતના અનેક ભાગમાં આફતનો વરસાદ

તિરુવનંતપુરમ, દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક સુધી ત્રાટકેલા ભારે વરસાદે ૧૩ લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કર્ણાટકમાં ભૂસ્ખલનના બે બનાવમાં એક ઘર તૂટી પડતા એક જ પરિવારના ત્રણના તથા દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બીજીતરફ કેરળમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી અને જુદા જુદા બનાવમાં પાંચ લોકોના મોત થયા હતા.
આસામમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેને લગતી ઘટનામાં ત્રણના મોત નિપજ્યા છે.
દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને કેરળ સહિત દક્ષિણ ભારતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. કેરળના ૧૪ જિલ્લામાં નીચાણવાળા ગામો જળમગ્ન બન્યા છે.
કેરળમાં આશરે બે હજાર જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે ઈડુકી, કન્નુર, કાસરગોડ, પથમનથીટ્ટા, આલાપુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને થ્રિસુર સહિતના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે તિરુવનંતપુરમ, કોલ્લમ, પલક્કડ, મલ્લાપુરમ, કોઝિકોડ અને વાયનાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
કોટ્ટાયમમાં પાણી ભરાયેલા ડાંગરના ખેતરમાં માછીમારી કરવા ગયેલા બે યુવાનો મોતને ભેટ્યા હતા. જ્યારે વિઝહિનજામમાં દરિયામાં બોટ ઊંધી પડતાં બે માછીમારોએ જીવ ગુમાવ્યો હતો.
કર્ણાટકના દક્ષિણ તટીય ભાગમાં મોન્ટેપાડાવુ કોડીમાં વરસાદને લીધે ભૂસ્ખલન થતા એક ઘર તૂટી પડ્યું હતું. કાટમાળમાં પાંચ લોકો દટાયા હતા. મૃતકોમાં ત્રણ વર્ષના આર્યન, તેનો બે વર્ષનો ભાઈ આરુષ તથા દાદી પ્રેમા પૂજારીનો સમાવેશ થયો હતો.ગુવાહાટીઃ પૂર્વાેત્તર ભારતમાં પણ વરસાદનું જોર વધ્યું છે.
આસામમાં મોટાભાગના ગામોમાં તંત્ર દ્વારા વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ અને દક્ષિણ આસામના ભાગોમાં શુક્રવારે એલર્ટ અપાયું હોવાનું મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું. શનિવાર સાંજ સુધી પરિસ્થિતિ વિકટ રહેવાની આશંકા છે અને લોકોને ઘરમાં રહેવા સુચના અપાઈ છે. અરૂણચલ પ્રદેશ અને મેઘાલયમાં ભારે વરસાદને પગલે આસામ માટે પરિસ્થિતિ વધુ વણસી શકે છે.SS1MS