મમતા બેનરજીના ખાસ ગણાતા પાર્થ ચેટર્જીની આખરે ધરપકડ
કોલકતા: પ.બંગાળમાં શિક્ષક ભરતી ગોટાળા તથા મની લોન્ડ્રીંગ માટેની તપાસમાં રાજયના ઉદ્યોગ અને વ્યાપારમંત્રી તથા મુખ્યમંત્રી મમતા બેનરજીના ખાસ નજીકના ગણાતા પાર્થ ચેટર્જીના નિવાસે ગઈકાલે દરાડાના દૌર ચલાવાયા બાદ આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાર્થ ચેટર્જી જયારે શિક્ષા મંત્રી હતા તે સમયે શિક્ષકોની ભરતીમાં ગેરરીતિની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજયના ઉદ્યોગમંત્રીના ખાસ સહયોગી અર્પિતા મુખર્જીના નિવાસેથી રૂા.21 કરોડની રોકડ-સોનુ મળ્યા બાદ તપાસનો રેલો આગળ વધ્યો: અર્પિતાની પણ ધરપકડ
ગઈકાલે એન્ફોર્સમેન્ટ વિભાગે પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી અર્પીતા મુખર્જીના નિવાસે દરોડા પાડીને રૂા.21 કરોડની રોકડ, સોના, ચાંદી ઝડપી પાડયા હતા અને બાદમાં રાજયના ઉદ્યોગમંત્રી પાર્થ ચેટર્જીના નિવાસે લગભગ 11 કલાક સુધી એન્ફોર્સમેન્ટના દરોડાની કાર્યવાહી થઈ હતી અને આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. શ્રી ચેટર્જી તૃણમુલ કોંગ્રેસના મહામંત્રી પણ છે.
અગાઉ તેઓની સીબીઆઈ પુછપરછ પણ કરવામાં આવી હતી. છેલ્લા 48 કલાકથી એન્ફોર્સમેન્ટની ટીમ કોલકતામાં દરોડાનો દૌર ચલાવી રહી હતી તથા પાર્થ ચેટર્જીના સહયોગી અર્પીતાના નિવાસેથી તથા રૂા.2000 તથા રૂા.500ના નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને રૂા.20 કરોડથી વધુની રોકડ, સોના, ચાંદી મળ્યા હતા.
બાદમાં રાજયના પાર્થ ચેટર્જીના નિવાસે દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડીરેકટરે એક પ્રેસ યાદીમાં જાહેર કર્યુ કે શિક્ષક ભરતી ગોટાળામાં પુર્વ શિક્ષામંત્રીની ભૂમિકા ખુલ્લી છે અને કોલકતા હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસના આધારે આ કાર્યવાહી થઈ છે.