વીજ બચત માટેના અસરકારક પ્રયત્નોથી રાજભવનમાં વીજ વપરાશમાં 25,838 યુનિટનો ઘટાડો

સૂર્યોદયની 20 મિનિટ પહેલાં સ્ટ્રીટ લાઈટ ઑફ કરીને અને સૂર્યાસ્તની 20 મિનિટ પછી સ્ટ્રીટ લાઈટ ઑન કરીને દરરોજ 40 મિનિટ વીજળી બચાવવા રાજ્યપાલશ્રીનું સૂચન
ઉનાળામાં વીજ વપરાશ વધે તે પૂર્વે પગલાં લેવા માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે : વીજળીની બચતને આદત બનાવીએ
ઉનાળામાં ગરમીના દિવસોમાં વીજ વપરાશ વધશે ત્યારે આપણે થોડી કાળજી રાખીએ. નાના-નાના પ્રયાસો કરીએ તો મોટી બચત કરી શકીશું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સરકારી ઑફિસોમાં અધિકારીઓ – કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં પ્રવેશે ત્યારે જ વીજ ઉપકરણો ચાલુ કરવા અને પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળવાનો અનુરોધ કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, જો આમ થશે તો વીજળીનો વ્યર્થ વપરાશ બંધ કરી શકાશે. વ્યર્થ જતી વીજળીનો કોઈ અર્થ નથી. વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના માર્ગ-મકાન વિભાગના સચિવ શ્રી પી. આર. પટેલિયા મુખ્ય ઇજનેર શ્રી ઓઝા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને આગામી ઉનાળામાં વીજ માંગમાં તીવ્ર વધારો થશે તે પહેલાં વીજળીની બચત માટે તાકીદે પગલાં લેવા સૂચનો કર્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૂચવ્યું હતું કે, ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે સૂર્યપ્રકાશ મોડી સાંજ સુધી હોય છે. સવારે પણ સૂર્યપ્રકાશ વહેલો થઈ જાય છે. એટલે સવારે સૂર્યોદય થાય તેની 20 મિનિટ પહેલાં સ્ટ્રીટ લાઈટ બંધ કરી શકાય અને સાંજે સૂર્યાસ્તની 20 મિનિટ પછી સ્ટ્રીટ લાઈટ ઑન કરી શકાય. સમગ્ર રાજ્યમાં આ રીતે સવાર-સાંજ 20-20 મિનિટ સ્ટ્રીટ લાઈટ દ્વારા જ વીજળીની બચત કરી શકાય તો એક દિવસમાં 40 મિનિટના વીજ વપરાશની બચત થઈ શકે.
આ રીતે સમગ્ર રાજ્યમાં લાખો-કરોડો યુનિટની વીજ બચત થઈ શકે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ પોતપોતાના જિલ્લાઓમાં સ્ટ્રીટ લાઈટ દ્વારા આ રીતે વીજ વપરાશમાં બચત થાય અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ પોતાની ચેમ્બરમાં વીજળીનો વ્યર્થ વપરાશ થતો અટકાવે તે માટે લેખિત આદેશો આપે તે જોવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વીજળીની બચત માટે લોકોએ સજાગ થઈને પોતાની માનસિકતા બદલવી પડશે. રાજ્યના મહાનગરો, નગરપાલિકા વિસ્તારો, તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તથા સરકારી કચેરીઓમાં આ પ્રકારે વીજળીની બચત થશે તો સમગ્ર રાજ્યમાં મોટી વીજ બચત કરી શકાશે. ગુજરાતનું ઉદાહરણ અન્ય રાજ્યો પણ લેશે અને અન્ય રાજ્યોમાં પણ ગુજરાતનું અનુસરણ થશે તો સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ થશે.