સિંચાઇ માટે વીજળી આપવામાં આવે: ધવલસિંહ ઝાલાની ઊર્જા મંત્રીને રજૂઆત
(પ્રતિનિધિ) બાયડ,
બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સિંચાઇ માટે ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં વધારો કરી દિવસ દરમિયાન વીજળી આપવા બાબતે ઉર્જા મંત્રીને લેખિતમાં ભલામણ કરી. ઓગષ્ટ મહિનામાં વરસાદ ખેંચાતાં, છેલ્લા આઠ વર્ષમાં નોંધાયેલા વરસાદી આંકડાઓ અનુસાર આ વર્ષે ઓગષ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જેને લઈ જગતના તાત ચિંતામાં મુકાયા છે, ત્યારે બાયડ – માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખેડૂતોના પડખે આવ્યા છે અને રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈને ખેડૂતોને સિંચાઇ માટે ફાળવવામાં આવતા વીજ પુરવઠાના કલાકોમાં વધારો કરવા તેમજ સિંચાઇ માટે દિવસ દરમિયાન વીજળી આપવા ભલામણ કરી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈને લેખિતમાં ભલામણ કરતાં જણાવ્યું છે કે, હાલ ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેના કલાકોમાં વધારો કરી વધુ વીજ પુરવઠો ફાળવવામાં આવે તેમજ વીજ કંપની દ્વારા સિંચાઇ માટે રાત્રિ દરમિયાન વીજળી આપવામાં આવે છે જેથી ખેડૂતોએ ઝેરી જીવ – જંતુ, સરીસૃપ અને જંગલી જાનવરના ડર વચ્ચે જીવના જાેખમે ખેતરમાં કામ કરવા જવું પડે છે.