ઈલેકટ્રોપ્લેટર્સ એસો. પ્રમુખના કારખાનામાંથી ઝેરી પાણી ખુલ્લી ગટરમાં છોડાતું હોવાનું બહાર આવ્યું

પ્રતિકાત્મક
દરેડ જીઆઈડીસીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સપાટો-એસિડયુક્ત પીળા રંગનું પ્રદુષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવતું હતું.
જામનગર, જી.પી.સી.બી.ની જામનગર સ્થિત પ્રાદેશિક કચેરીને મળેલી બાતમીના આધારે અધિકારીઓની એક ટીમ દરેડ જીઆઈડીસી ફેઝ-૩માં આવેલા બીબીસી ઈલેકટ્રોપ્લેટર્સ એકમ પર તપાસ હાથ ધરી હતી.
આ એકમના માલિક મનસુખભાઈ ચૌહાણ છે, જેઓ જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. Dared GIDC Jamnagar Gujarat GPCB raid
જી.પી.સી.બી.ના જામનગર કચેરીના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટએ જણાવ્યું હતું કે, બીબીસી ઈલેકટ્રોપ્લેટર્સના નિરીક્ષણ દરમિયાન ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. કારખાનામાં બ્રાસ પાટર્સ પર નિકલ તથા અન્ય ધાતુઓના ઈલેકટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું એસિડયુક્ત પીળા રંગનું પ્રદુષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવતું હતું.
આ પ્રદૂષિત પાણીમાં નિકલ જેવા ભારે ધાતુના તત્વો અને અન્ય હાનિકારક રસાયણો હોવાની પ્રબળ શક્યતા છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમનો સ્પષ્ટ ભંગ છે. એકમ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પ્રદૂષિત પાણીનો સીધો નિકાલ કરવો એ ગંભીર ગુનો બને છે.
દરોડા દરમિયાન જી.પી.સી.બી.ની ટીમે જરૂરી નમૂનાઓ એકત્રિત કર્યા છે અને પ્રાથમિક તપાસના અંતે કારખાનાના સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરીને મોકલી આપવામાં આવ્યો છે.