ભરૂચ જીલ્લાના વ્યાજબી ભાવની દુકાનદારોએ પડતર માંગણીઓને લઈને આવેદન પત્ર પાઠવ્યું
(પ્રતિનિધિ)ભરૂચ, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એક અલ્ટીમેટમ આજરોજ ભરૂચ કલેક્ટર અને ઝઘડિયા મામલતદારને પાઠવવામાં આવ્યું છે.એસોસિએશન દ્વારા અલ્ટીમેટમમાં જણાવ્યું છે કે સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો આપવાનું કામ રાજ્યભરના ૧૭ હજાર દુકાનદારો સંભાળી રહ્યા છે.
દુકાનદારોના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલી બાબતે હાલમાં ઓલ ગુજરાત ફેર શોપ એસોસિએશન દ્વારા સરકારને છેલ્લા બે અઢી વર્ષથી દુકાનદારોના વિવિધ પ્રશ્નો, માંગણીઓ બાબતે આવેદનપત્રો આપવામાં આવ્યા છે.પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોરોના મહામારીમાં પ્રથમ અને બીજાે વેલ્જ માં અને ખાસ કરીને લોકડાઉનમાં જ્યારે લોકો ઘર બહાર નીકળતા પણ ડરતા હતા ત્યારે દુકાનદારો પોતાના જીવની કે પરિવારની પરવા કર્યા વગર સરકારના કોઈપણ પ્રકારની સુરક્ષાના પગલા સિવાય લાભાર્થીઓને અનાજના જથ્થાનો વિતરણ કર્યું છે.
છતાં દુકાનદારોના પ્રશ્ન બાબતે સરકાર દ્વારા સતત દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે.આ તમામ બાબતો ધ્યાને લઈ ગુજરાતનો પરેશાન દુકાનદાર આગામી ૨ જી ઓક્ટોમ્બર ૨૨ ગાંધી જયંતીના દિવસથી અચોક્કસ મુદત સુધી વિતરણ વ્યવસ્થા થી અળગા રહેશે જેની ગંભીર નોંધ લેવા જણાવ્યું હતું.જાહેર વિતરણ વ્યવસ્થા ખોરંભે પડવાના કિસ્સામાં દુકાનદારની કોઈ જવાબદારી રહેશે નહીં જેની નોંધ લેવા અલ્ટીમેટમમાં એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.