ખેડૂતોના સંપીને મગફળી 27 હજારથી નીચે ન વેચવા એલાન કર્યુ

ગીર સોમનાથના લોઢવા ગામના ખેડૂતોના સંપને સલામ -સમસ્ત ગામના ખેડૂતોએ પોતાની મગફળી ભાવ નક્કી કરી ૨૭ હજારથી નીચે મગફળી ન વહેંચવા એલાન કર્યું છે
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના ખેડૂતોના સંપ અને એકતાનું ઉદાહરણ વધુ એક વખત સામે આવ્યું છે. ખેડૂતોને ખેતી પાકના પૂરતા ભાવ ન મળતા હોવાની મોટા ભાગના ખેડૂતોની રાવ હોય છે. ત્યારે આ સિસ્ટમમાં રસ્તો કાઢવા લોઢવા ગામના ખેડૂતો એક સૂર થયા છે.
તામમ ખેડૂતોએ મિટિંગ યોજી “આપણો પાક આપણો ભાવ” નું સૂત્ર અપનાવ્યું છે અને ખેડૂતોએ પોતાના માલના ભાવ નક્કી કરી આ કિંમતથી ઓછામાં જણસી ન વેચવા જણાવ્યું છે અને વેપારીઑને પણ નીચી કિંમતમાં માલ ન માંગવા સ્પષ્ટ સૂચના આપી દીધી છે.
સુત્રાપાડાનું લોઢવા ગામ ગત વર્ષની જેમ આ વર્ષ પણ ચર્ચામા આવ્યું છે. લોઢવા ગામના સરપંચ હીરાભાઈની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠક મળી હતી. આ ગામે ખેડૂતો માટે નવું સ્લોગન આપ્યું છે. “આપણો પાક આપણો ભાવ”. જેમાં મગફળીનો પાક ઘરમાં આવે તે પહેલા ખેડૂતોએ એકઠા થયા અને આ વર્ષે પણ મગફળી કેટલા ભાવે વહેંચવી તે નક્કી કર્યું છે.
જેમાં ધરતી પુત્રોએ એક ખાંડી એટલે કે ૪૦૦ કિલો મગફળી ના ૨૭ હજાર ભાવ નક્કી કર્યા છે. જે ૨૦ કિલોના ૧૩૫૦ રૂપિયા થાય છે. મગફળીના ભાવ નક્કી કરી ગામના ખેડૂતોએ એલાન કર્યું છે કે ૨૭૦૦૦ નીચા ભાવે ગામના કોઈ ખેડૂતે મગફળી વહેંચવી નહિ! એટલું જ નહીં વેપારીઓને પણ ચેતવણી આપી છે કે ૨૭ હજાર થી નીચે મગફળી માંગવી નહિ.
ઉલ્લેખની છે કે ગત વર્ષે પણ લોઢવા ગામના ખેડૂતોએ મગફળીના ૨૨ હજાર ભાવ નક્કી કર્યા હતા. જેમાં સફળતા મળી હતી અને સમસ્ત લોઢવા ગામ સહિત આસપાસના ગામો પણ જાેડાયા હતા. એટલે કે ગત વર્ષના સારા પરિણામ બાદ આ વર્ષ પણ અહીંના ખેડૂતોએ પહેલ કરી છે.
હાલની સ્થિતીએ સમૃદ્ધિ તરફ ડગ માંડવા આ પહેલ ગુજરાતના તમામ ખેડૂતો આવકારે અને એક સૂર થઇ સહાકાર આપે તે જરૂરી બન્યું છે. કારણ કે ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અને સતત વરસાદ પડવાના લીધે ખેડૂતોને ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે, ત્યારે લોઢવા ગામના ખેડૂતોના મતે સરકારના ટેકાના ભાવ કરતાં ” આપણો પાક અને આપણો ભાવ” નું સ્લોગન અપનાવીએ જેથી પૂરતા ભાવ મળે.