ખેડૂત દિવસ અને હલકા ધાન્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લાના ૨૦૦ થી વધુ ખેડૂતોને પૌષ્ટિક એવા હલકા ધાન્યના પાક અંગે માર્ગદર્શન અપાયું
ભરૂચ, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ખેડૂત દિવસ અને પૌષ્ટિક હલકા ધાન્ય જાગૃતિ કાર્યક્રમ અંગે ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મકતમપુર ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે હલકા એટલે કે જાડા કહેવાતા ધાન્ય અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને માર્ગદર્શન આપવા માટે ખેડૂત દિનની ઉજવણી અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવતા ૨૦૦ થી વધુ ખેડૂતો સેમિનાર માં જાેડાયા હતા.જેના પ્રમુખ પદે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ઝેડ.પી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોને હલકા ધાન્ય પાકોની ભલામણ થયેલ તક્નીકો અપનાવી આર્થિક રીતે પગભર થવાની સલાહ આપી. તેમણે કહ્યુ કે આપણે રોજિંદા આહારમાં હલકા ધાન્ય અપનાવવા જાેઈએ.આ ઉપરાંત સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ માટે હલકા ધાન્યપાકોનું આહારમાં મહત્વ સમજાવ્યુ હતું.તેમણે હવામાનને અનુકૂળ જાતો તેમજ તક્નીકોનો હલકા ધાન્ય પાકોમાં ઉપયોગ કરવાની ખેડૂતોને સલાહ અને ધાન્યપાકોનું મહત્વ અને અગત્યની જાતો વિશે સવિસ્તાર ખેડૂતોને માર્ગદર્શન હલકા ધાન્યપાકો સંશોધન કેન્દ્ર વઘઈના વડા ડૉ.એચ.ઈ.પાટીલે આપ્યું હતું.
આ સેમિનારમાં ભરૂચ જીલ્લાના ખેડૂતોએ ભાગ લઈ બાજરો નાગલી સહિતના હલકા ધાન્ય અને તેનાથી થતા લાભ તથા પાક લેવા અંગે ઉપયોગી માહિતી મેળવી હતી અને પરિસંવાદમા ઉપસ્થિત વૈજ્ઞાનિકોને પ્રશ્નોત્તરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ પ્રસંગે એકેડમી કાઉન્સિલના સભ્ય ડો.જે.જી.પટેલ,કૃષિ મહાવિદ્યાલય ભરૂચના આચાર્ય ડૉ.ડી.ડી.પટેલ,મદદનીશ પ્રાધ્યાપક (બાગાયત) ના ડૉ.એસ.એલ.સાંગાણી સહિત યુનિવર્સીટીનાં પ્રિન્સિપાલ તેમજ પ્રધ્યાપકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.