સમગ્ર દેશમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરવાનું બહુમાન ગુજરાતને મળ્યું
76 માં સ્વાતંત્ર પર્વે રાજભવન ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિના નવા અભ્યાસક્રમનું વીમોચન કર્યું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 76 માં સ્વાતંત્ર પર્વે રાજભવન, ગાંધીનગરમાં યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેશભરમાં સૌપ્રથમ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરાયેલા પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમોનું વિમોચન કરાયું હતું આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી તેમજ અભ્યાસક્રમ ડ્રાફ્ટ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કૃષિ સ્નાતકો તૈયાર થાય અને વધુને વધુ સંશોધનો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન મળે તે વાતને ધ્યાને લઈ, પ્રાકૃતિક કૃષિને વિષય તરીકે કૃષિ યુનિવર્સિટીમાં ભણાવી શકાય તે માટે અભ્યાસક્રમ તૈયાર કરવા એક સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડો. નિલમ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અન્ય સભ્યોમાં ડો. વાય. એસ. પરમાર કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. રાજેશ્વર સિંહ ચંદેલ, કૃષિ યુનિવર્સિટી હિસારનાં કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર બલજીત સહારન, પંતનગર કૃષિ યુનિવર્સિટી,
ઉત્તરાખંડના ડો. સુનીતા પાંડેય, ડો. વાય. એસ. પરમાર કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સુભાષ વર્મા, ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીમ્બડીયા, આંધ્રપ્રદેશના કૃષિ નિષ્ણાત ડો. ડી.વી. રાયડુ તેમજ આશિષ ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સમિતિની અનેક બેઠકો મળી. જરૂરત ઊભી થઈ
ત્યારે ઓનલાઇન મીટીંગ પણ કરાઈ હતી સમિતિના સભ્યોએ ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ આંધ્રપ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતોના ફાર્મની મુલાકાત લઈ વિગતો એકઠી કરી હતી આ ઉપરાંત અન્ય દેશોમાં ચાલતા પરંપરાગત કૃષિના વિવિધ અભ્યાસક્રમોની પણ સમીક્ષા કરી
કૃષિ ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક તેમજ સર્ટિફિકેટ કોર્સ માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસક્રમ ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓને મોકલી આપવામાં આવ્યો હતો અને તેમના પ્રતિભાવો મેળવી આ અભ્યાસક્રમને 22 જુલાઈ, 2022 ના રોજ રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે મળેલી બેઠકમાં આખરી રૂપ આપવામાં આવ્યું હતું.
જેનું 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વે રાજભવન ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. રાજ્યપાલશ્રી એ આ અભ્યાસક્રમને રાજ્ય સરકારનું કૃષિ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા દર્શાવનારું પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે
આ વર્ષથી જ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમો શરૂ થઈ જશે. જ્યારે પીએચ.ડી. ના સંશોધનની સુવિધા આવતા વર્ષથી શરૂ થશે. પ્રાકૃતિક કૃષિનો આ અભ્યાસક્રમ કૃષિ નિષ્ણાતો તૈયાર કરી પ્રાકૃતિક કૃષિને વધુને વધુ વૈજ્ઞાનિક ઢબે આગળ ધપાવવા સહાયભૂત થશે.