ઘી ના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં સ્થળ પરથી ત્રણ નમૂના લઈ આશરે રૂ. ૮.૭૫ લાખનો ૩૧૦૦ કિગ્રાથી વધુનો જથ્થો જપ્ત કરાયો
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
શ્રી કોશિયા એ ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડીઆદ દ્વારા તારીખ: ૨૬/૦૩/૨૦૨૫ના રોજ મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ, બ્લોક ૮૯૩-૧-૨, ગોડાઉન નં. ૩ મુ. સલુણ તળપદ તા. નડીઆદ જી.ખેડા ખાતે તપાસ કરવામાં આવી હતી.
જેમાં સ્થળ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢી ના જવાબદાર શ્રી દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીને હાજર રાખી સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ ઘી (શ્રી કલ્યાણી બ્રાન્ડ),
ઘી માં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફલેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્રારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા શ્રી દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડ ૧૫ કિગ્રાના ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવેલ. તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફલેવરનો પણ નમુના લેવામાં આવેલ.
વધુમાં ઉક્ત ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે ૧૫૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૫.૨૫ લાખ), બટર ઓઈલ નો ૧૬૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૩.૫ લાખ) અને ઘી ની ફ્લેવર નો ૧ લીટર જથ્થો (કિંમત: રૂ. ૩૬૦૦) એમ કૂલ ૩૧૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૮.૭૫ લાખ જેટલી થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ ૩ (ત્રણ) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
વધુમાં ઉપરોક્ત પેઢી વારંવાર ભેળસેળ ની ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ખેડા દ્વારા પેઢી દ્વારા આવી ગુનાહીત પ્રવૃતિ ફરી ન આચરી શકે તે અર્થે પેઢીને એફ.એસ.એસ.એ. લાઈસન્સ નં. ૧૦૭૨૧૦૧૨૦૦૦૧૫૧ નુ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ઉક્ત વેપારી પર ઘીમાં ભેળસેળ માટેના બે અલગ-અલગ એડજ્યુડીકેશન કેસમાં અધિક નિવાસી કલેકટર, ખેડા દ્વારા રુ. ૨ લાખનો દંડ ની સજા અગાઉ પણ થઇ ચૂકેલ છે.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.