તડબૂચમાં કૃત્રિમ રીતે ઈન્જેકશનથી કલર નાખી લાલ કરાતા નથી તેની તપાસ કરાઈ

૩૫૦ જેટલી ફ્રુટની દુકાનોની તપાસ કરવામાં આવી-જેમાંથી ૪૦૦ થી વધુ તડબૂચના નમૂના તપાસવામાં આવ્યા
ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તડબૂચની તપાસ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
તડબૂચના કોઈ પણ નમુનામાંથી કલર જેવા અખાદ્ય પદાર્થની હાજરી મળી નથી- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી કોશિયા
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
ઉનાળાની ઋતુ દરમ્યાન જાહેર જનતા દ્વારા સ્વાસ્થ્યપ્રદ અને ઠંડક આપે તેવા ફળો જેવા કે દ્રાક્ષ, તડબૂચની માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. જેનો ફાયદો ઉઠાવા માટે લેભાગુ તત્વો દ્વારા તડબૂચ જેવા ફળમાં કૃત્રિમ રીતે ઈન્જેકશનથી કલર નાખી તેને આકર્ષક બનાવી લોકોને અને તેમના સ્વાસ્થ્યને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ક્યારેક આવા સમાચાર ફરતા જોવા મળે છે.
આવા લેભાગુ તત્વોને ડામવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર અને તેની સાથે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ સતત બજારમાં આવા ભેળસેળિયા ઈસમો પર બાજ નજર રાખી લોકોને સુખાકારી માટે ખડેપગે સતત કામગીરી કરવામાં આવતી હોય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં તડબુચનો વેપાર કરતા વેપારીઓને ત્યાં કલરની હાજરી/ગેરહાજરી બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં કૂલ ૩૫૦ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવેલ હતી જ્યાં ૪૦૦ થી વધુ તડબુચના નમૂનાઓને આકસ્મિક સ્થળ પર તપાસવામાં આવ્યા હતા. આ તપાસવામાં આવેલ કોઈ પણ નમૂનામાં કૃત્રિમ કલરની હાજરી જોવા મળી ન હતી. આ ઉપરાંત કોઈ પણ પેઢીને ત્યાંથી કૃત્રિમ કલર, Artificial Sweetener, ઇંજેક્શન જેવા પદાર્થો તપાસમાં સ્થળ પર જોવા મળ્યા ન હતા.
વધુમાં આ તમામ ફળ વેચનાર વેપારીઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ અને તે અન્વયે સમયાંતરે બહાર પાડવામાં આવતા આદેશો અને એડવાઇઝરીનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા ઇસમોમાં ચેતી જવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે તેમ કમિશનર શ્રી કોશિયા દ્વારા ઉમેર્યું હતું.