અનુસૂચિત જન જાતિના બાળકો માટે ‘એડવેન્ચર કોર્સ’ વિનામૂલ્યે જૂનાગઢમાં યોજાશે

૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો ભાગ લઈ શકશે-અરજી તા. ૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો વધુ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિઓ ખીલે તેવા આશયથી રાજય સરકારના ખર્ચે ૭ દિવસના ‘એડવેન્ચર કોર્સ’નું આગામી નવેમ્બર માસમાં આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં માત્ર અનુસૂચિત જન જાતિના બાળકો કે જેઓ તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જરૂરી વિગતો અને પુરાવા સાથે પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારી, બહુમાળી ભવન, બ્લોક નં. ૧, ત્રીજો માળ, સરદાર બાગ, જુનાગઢ-૩૬૨૦૦૧ને તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
આ કોર્સમાં ભાગ લેવા ઈચ્છૂક અરજદારોએ પુરૂ નામ, સરનામું, આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/શૈક્ષણિક સંસ્થાનું ફોટા સાથેનું ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/લાઇટબીલ/ગેસબીલ/ટેલીફોન બીલની પ્રમાણીત નકલ તેમજ જન્મ તારીખના પુરાવા તરીકે શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ અચૂક સામેલ કરવાની રહેશે.
અરજદારે પર્વતારોહણ, એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત પણ આપવાની રહેશે. આ સાથે વાલીનો સંમતીપત્ર અને શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ અનુસૂચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. પસંદગી સમિતિ યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.