આપણી વિરાસતના અભિન્ન અંગ એવી ખાદીને ‘લોકલથી ગ્લોબલ’ માર્કેટ આપવાની દિશામાં દેશ આગળ વધ્યો છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/jitu1-1024x682.jpg)
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરથી ખાદી ખરીદીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વણાટકામ ક્ષેત્રે કાર્યરત કારીગરોને રોજગારી મળી રહે તેમજ સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય તે હેતુથી શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીનું રાજ્યના યુવાઓ તથા સૌ નાગરિકોને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા “ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન” મૂવમેન્ટને વેગ આપવા આજે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પાટનગર યોજના ભવન, સેક્ટર ૧૬, ગાંધીનગર ખાતેથી ખાદીની ખરીદી કરી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેના થકી જ આત્મગૌરવ અને સ્વદેશી ચળવળની શરૂઆત થઇ હતી. લોકલ ફોર વોકલની પ્રેરણા આપનાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદીના પ્રચાર માટે તેઓ સ્વયં ખાદીની ખરીદી કરતી નવીન પહેલ હાથ ધરી હતી જેના પરિણામે આજની યુવા પેઢીએ ખાદીને સહજ રીતે સ્વીકારી છે.
ખાદીને ‘લોકલથી ગ્લોબલ’ માર્કેટ આપવાની દિશામાં દેશ આગળ વધ્યો છે ત્યારે જે સુતરના તાંતણાએ ગુલામીની જંજીરો તોડી એ જ ખાદીનો તાર વિકસિત-આત્મનિર્ભર ભારત નિર્માણનો પ્રેરણાસ્ત્રોત બનશે. વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ નાગરિકોને રોજગારી મળી રહે
તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ રાજ્યના યુવાઓ તથા સૌ નાગરિકોને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણા સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે.હૈદર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.