સરકારી ઇજનેરી કૉલેજોની સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલમાં ૮૦ ટકા; ઈમર્જીંગ ઇજનેરીમાં ૧૦૦ ટકા બેઠકો ભરાયેલી
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઇજનેરી ક્ષેત્રે રી-સ્ટ્રકચરીંગની પહેલનું ઉત્તમ પરિણામ:
વર્ષ ૨૦૨૨ની સાપેક્ષે વર્ષ ૨૦૨૪માં સરકારી ઇજનેરી કૉલેજ પ્રવેશમાં ૫૭ ટકા; ઈમર્જીંગ ઇજનેરીમાં ૬૪ ટકાનો વધારો
વર્ષ ૨૦૨૨ની સાપેક્ષે વર્ષ ૨૦૨૪ માં સરકારી પોલીટેકનીક કોલેજ પ્રવેશમાં ૨૨ ટકા જેટલો વધારો
કોઈપણ રાષ્ટ્રના, દેશના કે પછી રાજ્યના વિકાસમાં, શિક્ષણની અહમ ભૂમિકા હોય છે. શિક્ષણ દેશના વિકાસની કરોડરજ્જુ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના સમર્થ નેતૃત્વમાં રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. જે અંતર્ગત ગુજરાતે સમયસર ઇજનેરી ક્ષેત્રે વિદ્યાશાખાઓનો રી-સ્ટ્રકચરીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરી છે. જેના પરિણામે વર્ષ ૨૦૨૨ની સાપેક્ષે સરકારી ઇજનેરી કોલેજ પ્રવેશમાં ૫૭ % જેટલો વધારો નોંધાયો છે.
રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં કોર બ્રાંચ જેવી કે સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલમાં ૮૦ ટકા બેઠકો ભરાયેલી છે. જ્યારે ઈમર્જીંગ ઇજનેરીની વિદ્યાશાખામાં ૧૦૦ ટકા બેઠકો ભરાયેલ છે.
વર્ષ ૨૦૨૪માં સરકારી અને અનુદાનિત ઇજનેરી સંસ્થાઓની ૮૪.૩ ટકા તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની ૪૮ ટકા એમ કુલ મળી ઇજનેરીની ૫૪ ટકા બેઠકો પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ડિપ્લોમાં ઈજનેરી
પ્રવર્તમાન સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં ડિગ્રી પણ કરતા હોય છે. જેમાં પ્રવેશ વર્ષ ૨૦૨૨ની સાપેક્ષે સરકારી પોલીટેકનીક કોલેજના પ્રવેશમાં ૨૨ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જે અંતર્ગત સરકારી પોલીટેકનીક કોલેજોમાં આઈ.ટી., સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલ વિગેરે વિદ્યાશાખામાં ૮૦ ટકા અને ઈમર્જીંગ ઈજનેરીની વિદ્યાશાખામાં વર્ષ ૨૦૨૨ની સાપેક્ષે પ્રવેશમાં ૬૪ ટકાનો વધારો થયો છે, જે રાજ્ય માટે યશકલગી સમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષોની જરૂરીયાત ધ્યાને લઈ સરકારી ઇજનેરી કોલેજો અને ડિપ્લોમાં ડિગ્રીમાં વર્ષ ૨૦૨૨થી વિવિધ નવા ઇમર્જીંગ ટેકનોલોજીનાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરીયાત મુજ્બ રી-સ્ટ્રકચરીંગ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે છે.