Western Times News

Gujarati News

સરકારનો પહેલગામ પર ચર્ચાથી ભાગવાનો પ્રયાસઃ કોંગ્રેસ

ઓપરેશન સિંદૂર પર વિશેષ સત્રની માગ વચ્ચે ચોમાસું સત્રની જાહેરાત

સત્રની ૪૭ દિવસ વહેલી જાહેરાત

૨૧ જુલાઈથી ૧૨ ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર યોજાશેઃ મંત્રી રિજિજુ

નવી દિલ્હી,કોંગ્રેસ અને વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે વિશેષ સત્રની માંગ કરી છે ત્યારે સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બુધવારે સંસદનું ચોમાસું સત્ર ૨૧ જુલાઈથી ૧૨ ઓગસ્ટ સુધી યોજાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષસ્થાને મળેલી સંસદીય બાબતોની કેન્દ્રીય કેબિનેટ કમિટીએ તારીખો અંગે ભલામણ કરી છે. સંસદના ચોમાસુ સત્રની તારીખો રાષ્ટ્રપતિની ભલામણ માટે મોકલવામાં આવશે તેમ રિજિજુએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા ઓપરેશન સિંદૂરની ચર્ચા માટે વિશેષ સંસદ સત્રની માંગ કરવામાં આવી રહી છે તેવા સમયે સંસદના ચોમાસું સત્રની તારીખો જાહેર કરાઈ છે.સત્રની ૪૭ દિવસ વહેલી જાહેરાત, સરકારનો પહેલગામ પર ચર્ચાથી ભાગવાનો પ્રયાસઃ કોંગ્રેસ

સંસદના ચોમાસું સત્રની તારીખની જાહેરાત બાદ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના મંત્રી જયરામ રમેશે એક્સ પર લખ્યું કે, સામાન્ય રીતે સંસદના સત્રની જાહેરાત સત્ર શરૂ થવાના થોડા દિવસ અગાઉ જ કરવામાં આવે છે. પરંતુ ચોમાસું સત્ર બોલાવવાની જાહેરાત ૪૭ દિવસ અગાઉ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા પહેલગામ હુમલા પર તાત્કાલિક વિશેષ સત્રની માગણી કરવામાં આવી રહી છે. આ સમયે ચોમાસું સત્રની તારીખો જાહેર કરાઈ છે જેથી સરકાર વિશેષ સત્રથી ભાગવાનો પ્રયાસ કરી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.