ઈજાગ્રસ્ત મજૂરને મૃત સમજી લોડરના ડ્રાયવરે કપચીના ઢગલામાં દાટી દેતાં મોત

AI Image
કર્મચારી લોડર મશીનમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયો હતો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના વિસલપુર ગામની સીમમાં આવેલી દિÂગ્વજય કન્સ્ટ્રક્શન કંપનીમાં કપચીના ઢગલામાંથી એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે અસલાલી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક લોડર મશીનમાં આવી જતા ઈજાગ્રસ્ત થઈને બેભાન થઈ ગયો હતો. જેથી તેનુ મોત થયાનું સમજીને ડ્રાઇવેરે કપચીમાં દાટી દીધો હતો. આ અગે અસલાલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, ત્રીજી એપ્રિલના રોજ બપોરના સમયે અમદાવાદ જિલ્લાના વિસલપુરમાં આવેલા દિગ્વિજય કન્ટ્રક્શન કંપનીમાં કપચીના ઢગલામાંથી રામચંદ્ર રોતનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેને ઈજાઓ હતી. જેના આધારે અસલાલી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બીજી એપ્રિલના રોજ વહેલી સવારે ડ્રાઇવર વિનોદ કોયરી લોડર મશીન ચલાવતો હતો. આ દરમિયાન રામચંદ્ર લોડર પાછળ હતો અને રીવર્સ લેતા સમયે તે લોડર મશીનમાં આવી ગયો હતો. તેને ઈજા થતા બેભાન થઈ ગયો હતો.
આ ઘટના બાદ વિનોદ ડરી ગયો હતો અને રામચંદ્રનું મોત થયાનું સમજીને તેણે લોડરના આગળના પાવડામાં ભરીને કપચીના ઢગલામાં દાટી દીધો હતો. ત્યારબાદ તેણે આ ઘટના અંગે કોઈને જાણ કરી નહોતી. આ સમયે જો તેણે રામચંદ્રને સારવાર માટે મોકલ્યો હોત તો તેને બચાવી શકાય તેમ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.