હિંસક વૃત્તિના કૂતરાં પાળી શકાય કે નહીં તે અંગે સરકાર હવે નીતિ જાહેર કરશે

પ્રતિકાત્મક
(એજન્સી)ગાંધીનગર, અમદાવાદના હાથીજણમાં હિંસક વૃત્તિના રોટવીલર શ્વાને બાળકીને ફાડી ખાધા બાદ સરકારની ઉઘ ઉડી હોય તેમ આવા પ્રકારના કુતરાને પાળી શકાયકે નહી અથવા પાળીને કેવી રીતે રાખી શકાય તેની નવી નીતિ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
જેમાં આવા પ્રકારના કુતરાં પાળવાને કારણે કોઈ વ્યકિત પર જોખમ ઉભું થાય કે હુમલો કરશે તો તેની સામે કેવા પગલાં કે સજાની જોગવાઈ કરાશે તે બાબતને પણ આવરી લેવાશે.
સરકારના પ્રવકતામાંથી ઋષીકેશ પટેલને હાથીજણના બનાવ સંદર્ભે પુછતા તેમણે જણાવયું હતુંકે હિંસક બ્રીડના કુતરાંને આડેધડ પાળી શકાશે નહી. અન્યથા તે મુદે માલીક પર પણ કાર્યવાહી કરવામાં આવશે
સમગ્ર મામલે આગામી સમયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમો અને સંલગ્ન નિયમોને ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં નીતી જાહેર કરશે. કુતરાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ત્યારે આવા પાળી ન શકાય તેવા કુતરા પાળવા હોય તો તે માટેની શરતો-નિયમોને પણ નીતીમાં સમાવવામાં આવશે. આ મુદે અમદાવાદ મહાનગરના મ્યુનીસીપલ કમીશ્નર બંછાનીધી પાની સાથે વાત કરી હોવાનું પણ તેમણે ઉમેયું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સુરત, વડોદરા સહીત રાજયભરમાં હાલ કુતરા પાળવાનો શોખ મોટા પ્રમાણમાં છે. પરંતુ તેમાં અનેક શિકારી વૃત્તિના કુતરાં પણ રહેણાંક વિસ્તારોમાં પાળવામાં આવી રહયા છે. રાજયમાં અત્યાર સુધી શેરી કુતરાને બાળકો કે વડીલોને બચકા ભર્યા હોય કે ફાડી ખાધા હોય તેવા બનાવો બનતા હતા તેનો ઉકેલ તંત્ર લાવી શકયું નથી.
બીજી તરફ પાળેલા કુતરાં દ્વારા પણ અનેક સ્થળે લીફટમાં કે ફલેટના પ્રાંગણમાં રખાતા હોય ત્યારે ખાસ કરીને બાળકો પર હુમલાના બનાવો શરૂ થયા છે. હાથીજણના ફલેટમાં પાંચ માસની બાળકીને ગાર્ડ ડોગ રોટવીલરેર ફાડી ખાધાના બનાવનથી આવા કુતરાઓને રહેણાંક વિસ્તારમાં નહી રાખવા અને તેમના બેદરકાર માલીકો સામે આકરી સજા થાય તેવા પગલાં લેવાની માગ ઉઠી છે.