ગુજરાતનાં ઈંટ ઉદ્યોગને કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે રૂ.૪૫૦ કરોડનું નુકસાન

File Photo
સરકાર પાસે મદદ માટે રજૂઆત કરાઈ
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ૬ મેથી ૧૦ મે ૨૦૨૫ વચ્ચે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. એટલું જ નહીં વાતાવરણમાં પલટો આવવા ને કારણે જોરદાર વાવાઝોડું પણ ફૂંકાયુ હતું.
આનાથી સમગ્ર ગુજરાતમાં સ્થાપિત ૨૫૦૦ મોટા ચીમની ભઠ્ઠા તથા ૪૦,૦૦૦ જેટલા નાના હાથ ભઠ્ઠી દ્વારા ઈંટી બનાવીને પકવતા ઈંટ ઉત્પાદકોને અંદાજે ૪૫૦ કરોડ રૂપિયાનું મોટુ નુકસાન થયું છે. જેથી કરીને આ મુદ્દે રાજ્ય સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આનો મહેસુલ વિભાગ દ્વારા સર્વે કરાવીને સહાય આપવાની માંગ અમે કરી રહ્યા છીએ.
વર્ષ ૨૦૨૧ના તાઉતે વાવાઝોડા કરતા પણ વધારે નુકસાન થયું- ફેડરેશનના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧માં ૧૭ અને ૧૮ મેના દિવસે તાઉતે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ઈંટ ઉત્પાદકોને પણ ભારે નુકસાન થયું હતું. હવે ૨૦૨૫માં પણ ૬થી ૧૦ મે વચ્ચે કમોસમી વરસાદ અને વાવાઝોડુ આવ્યું હતું. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૨૧ કરતા પણ વધારે નુકસાન આ વર્ષે થયું છે.
એટલું જ નહીં કાચામાલનું પણ વધારે પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે તથા ઈંટ ઉત્પાદન પણ વહેલું બંધ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન શરૂઆતમાં અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો મોડા આવતા અને વરસાદને લીધે પણ વહેલુ ઉત્પાદન બંધ થવાથી કુલ ઉત્પાદનમાં ૪૦થી ૪૫ ટકા સુધીનું જ કામ થયું છે.
ગુજરાત જ નહીં દેશભરમાં ઈંટ ઉદ્યોગની વાત કરીએ તો એ રેલવે પછી બીજા ક્રમે કારીગરોને રોજગારી પૂરી પાડતો લઘુ તથા કુટીર ઉદ્યોગ છે. આ દેશભરમાં કરોડો મજુરોને રોજગારી પુરી પાડે છે. ગુજરાતમાં પણ ૭થી ૮ લાખ મજુરો રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ આજે સદંતર ઠપ થઈ ગયો છે તેમજ લાખો માણસોની રોજગારી છીનવાઈ ગઈ છે.
ગુજરાતના હજારો ઈંટ ઉત્પાદકો અત્યારે કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેમના વ્યવસાયો બરબાદ થઈ ગયા છે અને તેમના કામદારો આજીવિકા વિનાના છે. શ્રી દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ કહ્યું, “અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ
કે તેઓ વારંવાર થતી કુદરતી આફતો અને નિયમનકારી બોજના ભારણ હેઠળ આ મહત્વપૂર્ણ ઉદ્યોગ તૂટી પડે તે પહેલાં તેને ટેકો આપવા માટે ઝડપથી અને કરુણાપૂર્વક કાર્ય કરે. તેમણે ગુજરાતના ઈંટ ઉદ્યોગના લાંબા ગાળાના અસ્તિત્વ અને વિકાસ માટે ટકાઉ ઉકેલો શોધવા માટે સરકાર સાથે કામ કરવાની ફેડરેશનની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીને રજૂઆત કરી હતી.