બાબાસાહેબ આંબેડકરનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે.: મુખ્યમંત્રી

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જ્યંતિએ ગાંધીનગરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
: મુખ્યમંત્રીશ્રી :
Ø ડૉ. આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી ઘડાયેલા બંધારણના સ્વીકારનાં આ ૭૫માં વર્ષે આંબેડકર જ્યંતિ એ ખાસ અવસર છે.
Ø ડૉ. બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીની સંકલ્પનાના વિકસીત ભારત@2047 માટે પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબધ્ધ થઇએ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જ્યંતિએ ભાવાંજલી આપતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુકે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડૉ. બાબાસાહેબના જીવનમાંથી શીખવા મળે છે.
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪ મી જન્મજ્યંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુ બહેન બાબરિયા પણ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા કહ્યું કે, ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ ૭૫મું વર્ષ છે. એટલે આ વર્ષની આંબેડકર જ્યંતિ ખાસ અવસર છે.
તેમણે ઉમેર્યું કે, બાબા સાહેબે સમગ્ર સમાજ માટે સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ ૧૪ એપ્રિલથી ૨૪ એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવવાનું છે તેની પણ ભૂમિકા આપી હતી.
બાબા સાહેબ હંમેશા માનતા હતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે. શિક્ષણ, સંઘર્ષ અને સંગઠન એ ત્રણેય જરૂરી છે. એવો તેમનો સ્પષ્ટ મત હતો એમ પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.
ડૉ. બાબાસાહેબે જીવવા માટે આપણી પાસે વિચારવાની, વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઇએ તેવા વ્યક્ત કરેલા વિચારોનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પનાના વિકસીત ભારત@2047 માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌને પ્રતિબધ્ધ થવાનું આહવાન આ અવસરે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા અધ્યક્ષશ્રીએ વિધાનસભાના પોડિયમમાં ડૉ. બાબાસાહેબ આંબેકડરના તૈલચિત્ર સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખશ્રી રૂચિર ભટ્ટ, ગુડાના પૂર્વ અધ્યક્ષશ્રી આશિષ દવે અને પદાધિકારીઓ તથા અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.