ગુજરાતનું ડેરી ક્ષેત્ર: પ્રગતિનો આધારસ્તંભ: પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમાર

ગાંધીનગર ખાતે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) વિષય અંગે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો
પ્રાણી સ્વાસ્થ્યમાં AMRના નિયંત્રણ માટે ગુજરાતમાં સ્ટેટ એક્શન પ્લાન અમલી
Gandhinagar, યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) પર રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં એન્ટીબાયોટિક્સના ઉપયોગ અને રેસિસ્ટન્સના સ્તર પર દેખરેખ રાખવા માટે વિવિધ અભ્યાસો અને સંશોધન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રયાસો પશુપાલન ક્ષેત્રમાં AMRના નિયંત્રણ માટે માર્ગદર્શક બની રહી છે. મનુષ્યોમાં સારવાર દરમિયાન વપરાતા એન્ટીબાયોટીક ઊપરાંત, પશુઓમાં સારવાર, રોગ નિવારણ, અથવા વૃદ્ધિ પ્રમોટર માટે વપરાતા એન્ટિબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગથી AMR બેક્ટેરિયાનો વિકાસ થાય છે.
ગુજરાતના ડેરી અને પશુપાલન ક્ષેત્રની પ્રગતિ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે, ભારતના દૂધ ઉત્પાદક રાજ્યોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જેનું ૨૦૨૪માં કુલ દૂધ ઉત્પાદન ૧૮.૩૧ મિલિયન મેટ્રિક ટન હતું, જે દેશના કુલ ઉત્પાદનના ૭.૬૫ ટકા છે. આ સિદ્ધિ ૩૬ લાખથી વધુ ડેરી ખેડૂતોના અથાક પ્રયાસો દ્વારા શક્ય બની છે. દૂધની માથાદીઠ ઉપલબ્ધતા ૨૦૦૦-૦૧માં ૨૯૧ ગ્રામ/દિવસથી વધીને આજે ૭૦૦ ગ્રામ/દિવસ થઈ છે, જે સુધરેલી ખાદ્ય સુરક્ષા અને પોષણ ઉપલબ્ધતા દર્શાવે છે.
પ્રાણી સ્વાસ્થ્યમાં AMRના નિયંત્રણ માટે ગુજરાતને સ્ટેટ એક્શન પ્લાન અમલી બનાવ્યો છે. તેની વિગતો માહિતી આપતા સચિવશ્રીએ જણાવ્યું કે, આ મીશન હેઠળ અંતર્ગત લેબોરેટરી નેટવર્ક અને ફિલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમ્સ દ્વારા પ્રાણીઓમાં AMR અને એન્ટિમાઇક્રોબાયલ ઉપયોગની દેખરેખ, પશુચિકિત્સા દવામાં એન્ટિમાઇક્રોબાયલના ઉપયોગનું નિયમન, પ્રિસ્ક્રાઇબિંગનો સમાવેશ કરવામાં આવે છે.
પશુચિકિત્સકો, પેરા-વેટ્સ અને ડેરી ખેડૂતો માટે એન્ટિમાઇક્રોબાયલ ઉપયોગ અંગે સમજણ આપવામાં આવે છે. રોગના ભારણ અને એન્ટિમાઇક્રોબાયલ નિર્ભરતા ઘટાડવા માટે ખેતરોમાં સુધારેલી જૈવ સુરક્ષા અને ચેપ નિવારણ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે
વર્કશોપમાં ઉપસ્થિત સૌને આવકારતાં પશુપાલન વિભાગના નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે કહ્યું હતું કે, પશુપાલન ક્ષેત્ર માટે AMR એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક આરોગ્ય પડકાર છે આપણે સૌએ સાથે મળીને આ પડકારને હરાવવાનો છે. આ કાર્યક્રમ EU ટ્રાઈપાર્ટાઈટ AMR પ્રોજેક્ટ “વર્કિંગ ટુગેધર ટુ ફાઈટ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ” હેઠળ યોજાઈ રહ્યો છે.
વર્ષ ૨૦૧૭માં ભારતના નેશનલ એક્શન પ્લાન (NAP) ઓન AMRને શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વન હેલ્થ અભિયાન ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. ગુજરાત એવા કેટલાક ભારતીય રાજ્યોમાંનું એક છે જેણે નેશનલ એક્શન પ્લાનની સાથે સ્ટેટ એક્શન પ્લાન પણ વિકસાવ્યો છે, જેમાં AMRના અસરકારક અમલીકરણ માટે આજનો વર્કશોપ મહત્વનો સાબિત થશે.
આ વર્કશોપમાં રીઝનલ AMR અને વન હેલ્થ મિશનના કોઓર્ડીનેટર શ્રી ડેવિડ સુથરલેન્ડ, AMR (SAPCAR-G)ના સ્ટેટ પ્રોગ્રામ ઓફીસર ડો. એ. એમ. કાદરી, જનરલ મેનેઝર એનીમલ હેલ્થ, NDDB ડો. એ.વી હરીકુમાર પશુપાલન વિભાગના અધિકારીઓ તથા NDDBના પ્રતિનિધીઓ હાજર રહ્યાં હતા.