Western Times News

Gujarati News

પાંડવકાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત

ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની પલ્લી સમયે ગામમાં ઘી ની નદીઓ વહી

રૂપાલમાં માતાજીની પલ્લી પર હજારો મણ  શુદ્ધ ઘીનો અભિષેક થયો

સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હતી.

( પ્રતિનિધિ) અમદાવાદ,  ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની પલ્લી ભરવાની પાંડવકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. રૂપાલ ગામમાં દર વર્ષે નવમા નોરતાની રાત્રે માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે જે રૂપાલ ગામ ના 27 ચકલા ફરી મંદિરે પહોંચે છે.

જે દરમ્યાન ભાવિક ભક્તો દ્વારા હજારો કિલો ઘીનો અભિષેક કરાતાં રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળે છે. શ્રદ્ધાળુઓ બાળકો માટે વરદાયિની માતાજીની માનતા રાખતા હોય છે, જે પૂર્ણ કરવા માટે નવમા નોરતાની રાત્રે પલ્લી પર ઘીનો અભિષેક કરી માનતા પૂર્ણ કરતા હોય છે. પલ્લી પર દર વરસે હજારો કિલો ઘીનો અભિષેક થાય છે

રૂપાલમાં આસો સુદ નોમના દિવસે શુક્રવાર મોડીરાત્રે વર્ષોની પરંપરા મુજબ માતાજીની પલ્લી નીકળી હતી, જેમાં ભક્તો દ્વારા માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. રૂપાલ ગામમાં પલ્લી નીકળી ત્યારે શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. ભક્તોની ભીડ વચ્ચે વરદાયિની માતાના જયઘોષથી ગગન ગુંજી ઊઠ્યું હતું.

પલ્લીની ખાસ વિશેષતાઓમાં ઘીના અભિષેકનું મહત્ત્વ છે. લાખો શ્રદ્ધાળુઓ દ્વારા લાખો લિટર ઘી પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. માનતામાં માનેલું ઘી પલ્લી પર ચઢાવવામાં આવે છે. રૂપાલ ગામમાં 27 ચકલા પર પલ્લી ઊભી કરીને એના પર ઘી ચડાવે છે. જ્યાંથી પલ્લી પસાર થાય ત્યાં ઘીની નદીઓ વહેચી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે.

પ્રચલિત ધાર્મિક માન્યતા મુજબ પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ, સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હતી. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે.

એમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યાર બાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી ઉપર છાંદી જાય છે.

પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ, ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.

પાંડવકાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પાંડવકાળની વાત કરવામા આવે તો જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.

ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે.  પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાઘા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યાં હોય, તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. રૂપાલ ગામના પટેલવાસ કે જેને માઢ કહેવામાં આવે છે ત્યાં માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે. ત્યાંથી ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે.

જેમાં રાજવાડો, બ્રાહ્મણ વાસ, ચોકારી, વણિકવાસ, ચાવડાવાસ, ગોગા બાપજી મંદિર થઈ માતાજીના મંદિરમાં પલ્લી લઈ જવામાં આવે છે જ્યાં માં વરદાયિની ની આરતી થાય છે. આરતી પૂર્ણ થયા બાદ પૂજારી ઘ્વારા માતાજીના પ્રસાદરૂપે ભાવિક ભક્તોને નાડાછડી આપવામાં આવે છે જેનું પણ એક અલગ મહત્વ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.