સરકારી કચેરીઓમાં સમય સવારે ૯ઃ૩૦થી સાંજે ૫ઃ૦૦ સુધી કરવાનું સૂચન

AI Image
સરકારી કચેરીઓમાં જોબ ટાઈમીંગમાં ફેરફારની શક્્યતા
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારના વહીવટી સુધારણા વિભાગે તાજેતરમાં સરકારી કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવાના હેતુથી કચેરીનો સમય બદલવાનો પ્રસ્તાવ આપ્યો છે. હાલ રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ સવારે ૧૦ઃ૩૦થી સાંજે ૬ઃ૧૦ સુધી કાર્યરત છે.
પરંતુ નવા સૂચન અનુસાર સમય વહેલો કરી સવારે ૯ઃ૩૦થી સાંજે ૫ઃ૦૦ સુધી કરવાનો વિચાર છે. જોકે, કર્મચારી સંગઠનોએ આ સૂચન સામે વિરોધનું વલણ અપનાવી સરકારને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે – “અઠવાડિયામાં પાંચ દિવસની કામગીરી કરો તો જ સમય વહેલો કરો, નહીંતર અમે સહમત નથી.” બીજી તરફ આ સમગ્ર મામલે કર્મચારી પ્રતિનિધિઓએ દલીલ કરી કે હાલમાં મોટાભાગના વિભાગોમાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરાઈ નથી.
તેઓ દબાણભર્યા વાતાવરણમાં કામ કરી રહ્યા છે. બીજી તરફ, ઘણા કર્મીઓ શહેરી વિસ્તારોથી દૂર રહે છે અને રોજ સવારે લાંબી મુસફર કરી કચેરી પહોંચે છે. આવા કર્મીઓ માટે સમય વહેલો કરવો મુશ્કેલ બનશે. કર્મચારી સંગઠનોએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની જેમ અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને બે દિવસ રજા આપવી જોઈએ.
તેમનું કહેવું છે કે જો સરકાર કાર્ય સમય વહેલો કરવા માટે ગંભીર છે તો પહેલાં અઠવાડિયાના કામના દિવસો પાંચ કરવાથી શરૂઆત થાય. તેમના મતે, ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોથી કાર્યક્ષમતા વધી રહી છે, એટલે સમય વધારે કરતાં કામનું ગુણવત્તર સુધારવું જરૂરી છે.
સરકાર તરફથી પ્રસ્તાવ આવ્યો છે કે સમય વહેલો કરવાથી દિવસના પ્રારંભે લોકોને ઝડપી સેવા મળશે અને કર્મચારીઓ પણ વહેલા ઘરે જઈ શકશે. પણ કર્મચારીઓનો અભિપ્રાય છે કે આવા નિર્ણયો એકતરફી ન લેવાના રહેવા જોઈએ અને તેમના ભવિષ્ય અને દૈનિક જીવન પર તેનો સીધો અસર થાય છે.