ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ

:: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ::
Ø ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારનો ભાવ છે
Ø ગુજરાતના લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને પર્યાવરણ, જમીન, હવા, પાણી અને લોકોનું સ્વાસ્થ્ય બચાવવાના મહાયજ્ઞમાં જોડાયા છે
Ø મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિને ઓર્ગેનિક જૈવિક ખેતી સમજે છે એટલે તેમને ડર છે કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ઉત્પાદન ઘટે છે
સહકાર એ માત્ર વ્યવહાર નથી, એ એક ભાવના છે, આ ભાવનાને દ્રઢપણે અપનાવવાથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી સાર્થક થશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાજભવન ખાતે “સહકારથી સમૃદ્ધિ સંમેલન” યોજાયું
Gandhinagar, આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આજે રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સહકારથી સમૃદ્ધિ સંમેલન” યોજાયું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન પૂર્વે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંમેલન અંતર્ગત વિવિધ સહકારી મંડળીઓ દ્વારા લગાવવામાં આવેલી પ્રદર્શનીની મુલાકાત લઈને મંડળીના પ્રદર્શનકારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો.
સહકારથી એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થાય છે‘; આ થીમ સાથે આયોજિત સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સહકારી આગેવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે. અહીંના નાગરિકો માત્ર પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ પોતાની સાથેના લોકોની ઉન્નતિ માટે પણ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે, દુનિયામાં એ જ લોકો સારા અને ઉમદા ગણાય છે, જે પોતાની સાથે અન્ય લોકોના કલ્યાણની ચિંતા કરે છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતના લોકો સહકારના બળ પર નિરંતર આગળ વધતા રહ્યા છે અને એનું જીવંત ઉદાહરણ છે – અમૂલ ડેરી. ગામડાંથી શરુ થયેલી નાની ડેરી આજે વિશ્વ કક્ષાએ ઓળખ મેળવી ચૂકી છે. તેમણે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓને આહવાન કર્યું કે કૃષિ, બેંકિંગ, મત્સ્ય ઉદ્યોગ કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં સહકાર દ્વારા નવી તકો ઊભી કરી, રોજગારીનું સર્જન કરો અને લોકોના જીવનમાં સુધારો લાવવાનો સંકલ્પ લો.
વેદોના ઉલ્લેખ સાથે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, બુદ્ધિશાળી અને સંસ્કારી લોકો એકસાથે સમાજના હિત માટે કાર્ય કરે તે જરૂરી છે. સમાજ સંગઠિત થયા વિના દેશ આગળ વધી શકે નહીં. સમજુ અને જ્ઞાની લોકોની ફરજ છે કે તેઓ સાથે મળીને ઊર્જા, સંપત્તિ અને સંસાધનોના વિસ્તરણ માટે પરસ્પર સહયોગી બને.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગામડાના છેવાળાના માનવી સુધી સહકારનો લાભ પહોંચાડવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે અને ગુજરાતના કુશળ સહકારી આગેવાન અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આ મંત્રાલયનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઘોષિત કરવું એ પણ એના વૈશ્વિક મહત્ત્વનું ઉદાહરણ છે.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને તેમના કાર્યક્ષેત્રના વિસ્તાર માટે પ્રેરિત કરતાં કહ્યું કે, તમારી પાસે વર્ષોનો અનુભવ છે, તેનો ઉપયોગ કરી સહકાર ક્ષેત્રને વધુ ઉન્નત બનાવો.
પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરતાં કહ્યું કે, ગુજરાતના લાખો ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે ભિન્ન છે. પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા જમીન, પાણી, હવા અને લોકોના આરોગ્યનું રક્ષણ થાય છે.
રાજ્યપાલશ્રીએ સહકારી મંડળીઓને ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળ સાથે જોડાઈને જીવામૃત, ઘનજીવામૃત અને પ્રાકૃતિક જંતુનાશક ઉત્પાદનોનું ઉત્પાદન અને વિતરણ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે આથી ગૌશાળાઓની આવક વધશે, ખેડૂત સમૃદ્ધ બનશે, પર્યાવરણ બચશે અને સમગ્ર દેશ માટે આ મોડેલ બની રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર એ માત્ર વ્યવહાર નથી, એ એક ભાવના છે, આ ભાવનાને દ્રઢપણે અપનાવવાથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી સાર્થક થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની સહકારિતા ક્રાંતિમાંથી પ્રેરણા લઈને આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણીનો પ્રારંભ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતેથી શરૂ કરાવ્યો હતો.
એટલું જ નહિ, આ જ વર્ષે ગુજરાતની સહકારી પ્રવૃત્તિના પ્રણેતા શ્રી ત્રિભુવનદાસ પટેલના નામ સાથે દેશની પહેલી સહકારી યુનિવર્સિટીની વડાપ્રધાનશ્રીએ ભેટ આપી છે તેનાથી આ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી વધુ ગૌરવમય બનશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝનથી ‘કો-ઓપરેટિવ એમોન્ગ કો-ઓપરેટિવ્ઝ’ એટલે કે સહકારિતામાં સહકારનો ઉમદા વિચાર સહકાર ક્ષેત્રને મળ્યો છે. આ વિચારમાં રાજ્યની બધી સહકારી સંસ્થાઓ પોતાના આર્થિક વ્યવહારો સહકારી સંસ્થાઓ સાથે જ કરે, દરેક પ્રાથમિક મંડળી, એ.પી.એમ.સી., હાઉસિંગ મંડળી, ડેરી વગેરે જેવી તમામ સંસ્થાના બેન્ક એકાઉન્ટ મધ્યસ્થ સહકારી બેંકમાં હોય, ઉપરાંત ધિરાણ લેવા માટે પણ સહકારી તંત્રનો જ ઉપયોગ થાય એવી પરસ્પર સહકારની ભાવના રહેલી છે.
તેમણે વધુમાં કહ્યું કે, “સહકારના નાણાં સહકારમાં જ રહે” અને આ નાણાં સમગ્ર સહકારના વિકાસનો સ્રોત બને તો તમામ સંસ્થાઓ એકબીજાને ઉપયોગી થવાની સાથે પાયાના લોકોના ઉત્થાનમાં પણ મદદરૂપ થઈ શકે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના સેવા દાયિત્વને આજે ૧૧ વર્ષ પૂરાં થયા છે. તેમના કાર્યકાળમાં સેનાથી લઈને નાનામાં નાના કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સુધી સૌને સાથે લઈને ચાલવાની પરંપરા તેમણે વિકસાવી છે.
તેમના જ દિશાદર્શનમાં દેશમાં સહકાર ભાવના પ્રબળ બની છે અને આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય બન્યું છે અને તેનું સુકાન ગુજરાતના સહકારી અગ્રણી અને લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહનો સોંપ્યું છે. આ સહકાર મંત્રાલય શરૂ થતાં દેશમાં ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે સહકારી ક્ષેત્રને મળાખાકીય અને સંસ્થાગત સ્વરૂપ આપવાની શરૂઆત થઈ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી અને સહકારિતાને એકબીજાના પૂરક ગણાવતા કહ્યું હતું કે, ખેતીને આવનારા દિવસોમાં ઉત્તમ અને ટકાઉ બનાવવા અને જમીન સુધારણા માટેનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે.
વડાપ્રધાનશ્રીએ પણ વિકસિત ભારત માટે જનજાગૃતિ માટેના ૯ સંકલ્પો આપ્યાં છે તેમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો છે તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. આ માટે વડપ્રધાનશ્રીએ આપેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણી બચાવવા અને ખેતીમાં ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે ડ્રીપ ઈરિગેશન સિંચાઈ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત સૌ સહકારી આગેવાનોને “સફેદ કપડામાં સંત” તરીકે ઉદબોધતા કહ્યું હતું કે, આ સહકારી આગેવાનો પોતાના સ્વાર્થ માટે નહિ, પરંતુ પોતાની સંપૂર્ણ શક્તિ સાથે હરહંમેશ સૌના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારિતા ક્ષેત્રનો ખૂબ જ ઝડપી વિકાસ થઇ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ સહકારિતા ક્ષેત્રને મહત્વ આપીને વિવિધ હિતલક્ષી નિર્ણયો કર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં રાષ્ટ્રીય કક્ષાની ભારતીય બીજ સહકારી સમિતિની રચના કરવામાં આવી. જેમાં આજે ૧૪,૮૧૬ જેટલી સહકારી સંસ્થાઓ જોડાઈ છે. આ સંસ્થા દ્વારા આશરે ૩૮,૧૨૬ ક્વિન્ટલ બીજનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાનું આ વર્ષનું ટર્નઓવર આશરે રૂ. ૪૧.૫ કરોડ જેટલું નોંધાયું છે. આ ઉપરાંત બીજી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ કોઓપરેટીવ ઓર્ગેનિક લી. સહકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પણ ૫,૦૦૦થી વધુ સંસ્થાઓ જોડાઈ છે.
તેમણે ઉમેર્યું કે, ત્રીજી રાષ્ટ્રીય સહકારી સંસ્થા – નેશનલ કોઓપરેટીવ એક્સપોર્ટ લી.ની પણ સ્થાપના કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા સાથે અન્ય ૭,૭૦૦થી વધુ સહકારી સંસ્થાઓ જોડાઈ છે. આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં જ ૮.૧૫ લાખ મેટ્રિક ટન ચોખા-ખંડ-ઘઉંની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે, જેનું મુલ્ય લગભગ રૂ. ૨,૦૦૦ કરોડથી વધુ થાય છે. આ વર્ષે પણ NCEL દ્વારા આશરે રૂ. ૪,૧૨૧ કરોડની કિંમતની નિકાસ કરવાનો અંદાજ છે.
શ્રી ચૌધરીએ તેમના ઉદબોધન દરમિયાન પ્રાકૃતિક કૃષિ, સહકારી ક્ષેત્રના વિકાસ અને સહકારી ક્ષેત્રના પોતાના અનુભવો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિત સૌ સહકારી આગેવાનોને સહકાર ક્ષેત્રના અવિરત વિકાસ માટે નવીન તકો અને નવા ક્ષેત્રોને શોધવા માટેના પ્રયાસો કરવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ, તેમના મહત્તમ સભાસદો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે પ્રયાસો કરવા માટે પણ તાકીદ કરી હતી.
સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન તરીકે છેલ્લા ૧૧ વર્ષમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. તેમના આ વિઝનને પરિપૂર્ણ કરવામાં સહકાર વિભાગ પોતાનું મહત્તમ યોગદાન આપી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ બનેલા અલાયદા સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે ૫૪થી વધુ નવતર પહેલો હાથ ધરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરુ થયેલી “કો ઓપરેશન એમોન્ગ કો ઓપરેટીવ” પહેલ હેઠળ પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટના ઘણા સારા પરિણામો જોવા મળ્યા છે. સહકાર ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારે સહકારી મંડળીઓના સભાસદ માટે ડિવિડન્ડની મર્યાદા ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા સુધી કરી છે. સાથે જ, સભાસદ ભેટ મર્યાદામાં પણ ૬૬ ટકાથી ૧૫૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી કરોડો સભાસદોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત હાઉસિંગ સોસાયટીમાં મકાન ટ્રાન્સફર વખતે ઉદભવતા ટ્રાન્સફર ફીના પ્રશ્નનો અંગે પણ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રાજ્યના પ્રગતિશીલ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ, આ પ્રતિનિધિઓએ સહકારી ક્ષેત્ર અંગે પોતાના વિચારો અને અનુભવો પણ સૌની સમક્ષ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સરકારના સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, પ્રગતિશીલ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકના પદાધિકારીઓ તેમજ સહકાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.