ગુજરાતની ૮,૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેરઃ ૨૨ જૂને મતદાન, ૨૫ જૂને મતગણતરી

AI Image
(એજન્સી)ગાંધીનગર, આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં ૨.૫ વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું ૨જી જૂન ૨૦૨૫ના બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૯ જૂન ૨૦૨૫ રહેશે. ૨૨ જૂન ૨૦૨૫ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી ૨૫ જૂન ૨૦૨૫ના રોજ થશે.
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ૨૭ મી મે ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. આજથી આચારસંહિતા અમલમાં આવશે. કુલ ૮૩૨૬ પંચાયતોમાંથી ૪૬૮૮ પંચાયતોમાં (સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી) જ્યારે ૩૬૩૮ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.
મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે, ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ ૪ હજાર ગ્રામ પંચાયતમાં ૩ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ ૧૪૦૦ પંચાયતોની મુદ્દત ૩૦ જૂને પૂર્ણ થઈ રહી છે.
ઘણા લાંબા સમય બાદ ગુજરાતની ૮૩૨૬ ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ હોય અને પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. જેને લઈને રાજ્ય સભાના સંસદ મયંક નાયકે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જેમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે ૨૨ જૂને મતદાનમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને ગામમાં સમરસતા ભાઈચારો જળવાઈ રહે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવી રજૂઆત સંસદે કરી હતી. તો ગત વખતે ૯૩% જેટલા સરપંચમાં ભાજપની વિચારસરણી સાથે જીત્યા હતા અને આવનાર સમયમાં પણ જીત મેળવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગ્રામ પંચાયતની જાહેર થયેલ ચુટંણીઓને આવકારી છે. લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહિવટદારથી મુક્તિ મળે. દેશમાં જેને પંચાયતી રાજનું મોડલ આપનાર ગુજરાતના ગામડા ૩૬ મહિનાથી ચુટંયેલા પ્રતિનિધિથી વંચિત છે.
રાજ્યના ૪ હજાર ગામડાના નાગરિકોના અધિકારો પર ભાજપ સરકારે તરાપ મારી છે. વહિવટદાર શાસનને પગલે અનેક વિસ્તારોમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે. જાહેર થયેલ ચૂંટણીથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચુંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે. તમામ ગામમાં લોક તાંત્રિક પ્રકિયાથી ચૂંટણી થાય. બેલેટથી થનારા ચુટણી આવકારદાયક, માત્ર ગ્રામ્ય પંચાયત નહીં વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી થાય તેવી માંગ છે.
કોઈ સિમ્બોલ પર ચૂંટણી લડાતી નથી પણ વિચારધારા સાથે જોડાયેલા લોકો ચૂંટણી લડતા હોય છે. બીજેપીની સરકારમાં વિકાસના કામો ગામે ગામ સુધી થયા છે. કેન્દ્ર સરકારની પણ અનેક યોજનાઓ ગામડાઓ માટે ડિઝાઇન થઈ છે. કેન્દ્રની સાથે ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ગામડાઓ અને ગ્રામજનો માટે ઘણા ખરા કામો અને યોજનાઓ બનાવી રહી છે.
ચુંટણી પંચ સ્વાયત સંસ્થા છે એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે એમાં બીજેપીનો કોઈ રોલ નથી હોતો. આજે ચુંટણી જાહેર થઈ ગઇ છે એટલે કોંગ્રેસના આક્ષેપોનો પણ છેદ ઉડી ગયો છે.