હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધોઃ ગુનેગારો કરતાં નાગરીકોમાં તમારો ભય વધુ

(એજન્સી)અમદાવાદ, અડાલજ પોલીસે બેનામી જાણવાજોગ અરજીએ આધારે અરજદારને ર૪ કલાકમાં પોલીસ સ્ટેશન નિવેદન આપવા બોલાવતા હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો હતો.કોર્ટે ટકોર કરી હતી કે, કાલે સવારે તમને કોઈ પણ આવીને અરજી કરી જાય તો તમે તેની તપાસ કર્યા વગર સીધા પોલીસ સ્ટેશન જ બોલાવી લેશો ?
પોલીસને કોઈ નીતીનીયમો લાગુ જ નથી પડતા ? આરોપી જેવું વર્તન નાગરીકો સાથે કરો છો. જે કાર્યવાહી આરોપી સામે કરવાની હોય તે તો કરતા નથી. તમે પોલીસ માત્ર છો એટલે ગમે તે કરી શકો ? ગુનેગારો કરતાં નાગરીકોમાં તમારો ભય વધારે છે. હાઈકોર્ટે તપાસની અધિકારીને રીપોર્ટ રજુ કરવાનું કહી વધુ સુનાવણી જુનમાં રાખી છે.
ગાંધીનગરના બે બિઝનેસમેન સગા ભાઈએ આગોતરા જામીન અરજીમાં રજુઆત કરી હતી કે અડાલજ પોલીસના તપાસનીશ અધિકારીને તેમને બેનામી અરજીમાં થયેલા આક્ષેપોને આધારે ર૪ કલાકમાં સ્ટેશન પર નિવેદન લખવા આવી જવા નોટીસ કાઢી હતી. પરંતુ તેઓ વિદેશ હોવાથી નોટીસથી અજાણ હતા. તેથી તેમની સામે ગુનો નોધી દેવામાં આવ્યો છે.
રજીસ્ટરમાં નોંધ નથી છતાં ર૪ કલાકમાં કેમ બોલાવ્યા ? કોર્ટે હાજર પોલીસને સવાલ કર્યો હતો કે, તમારા રજીસ્ટરમાં કોઈ નોધ નથી થઈ ? તમે કોઈ ગુનો નોધી નોધ્યો હતો કે પછી ર૪ કલાકમાં કેમ બોલાવી લીધા ? જેમને નોટીસ પાઠવી છે. તેણે કોઈ ગુનુ નોધી કર્યો તો શું કામ તમારી પાસે આવે ? તમારે તપાસ કરવી હોય તો તમારે તેમના ઘરે જવું જોઈએ.