ગુજરાતની ITIમાં પહેલા માત્ર ૪ અભ્યાસક્રમો હતા; અત્યારે ૧૫૦થી વધુ અભ્યાસક્રમો કાર્યરત

આધુનિક યુગની નવીન ટેક્નોલોજીને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ તૈયાર કરવામાં ગુજરાતે વિશેષ પહેલ કરી: કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
વિધાનસભા ગૃહ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આધુનિક યુગની નવીન ટેક્નોલોજીને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ તૈયાર કરવામાં ગુજરાતે વિશેષ પહેલ કરીને અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. ગુજરાતની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં (ITI)માં પહેલા માત્ર ચાર અભ્યાસક્રમો કાર્યરત હતા, જ્યારે અત્યારે એ જ ITIમાં ૧૫૦ થી વધુ અભ્યાસક્રમો કાર્યરત કરવામાં આવ્યા છે.
વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આગામી ૧૦ વર્ષની કૌશલ્ય માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે દેશમાં સૌપ્રથમ અલાયદી “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”ની સ્થાપના કરીને અનેકવિધ નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રની જરૂરિયાત મુજબ હજુ પણ નવા કૌશલ્ય અભ્યાસક્રમો શરૂ કરવા માટે ગુજરાત સરકાર તત્પર છે.
મંત્રી શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં કાર્યરત કુતિયાણા ITI ખાતે ૮ ટ્રેડ, પોરબંદર ITI ખાતે ૧૦ ટ્રેડ અને રાણાવાવ ITI ખાતે ૭ ટ્રેડ હાલમાં કાર્યરત છે. પોરબંદર જિલ્લાની આ ત્રણ ITIના કુલ ૨૫ ટ્રેડમાં ગત વર્ષ ૨૦૨૪ દરમિયાન ૬૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.