તુવેર અને ચણાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/05/toor-tuver-dal.jpg)
રાજ્યમાં કઠોળની નિકાસ વધીને ૨,૪૭,૭૮૯ ટન થઈ, ગત વર્ષની સરખામણીએ બમણી
(એજન્સી)ગાંધીનગર, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, જ્યારે ખેડૂતોને લક્ષિત સબસીડીઓ પ્રદાન કરીને તેમજ વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે.
એપ્રિલ ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ સુધીના નિકાસના આંકડાઓ પર નજર નાખીએ તો ગુજરાતે કઠોળ, ગુવાર ગમ અને ડેરી ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ૨,૪૭,૭૮૯ ટન કઠોળની નિકાસ થઈ છે, જે ગત વર્ષ કરતા બમણી છે. નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે, જેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે.
કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં ૧૦ ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વર્ષના બજેટ સત્રમાં તુવેર, અડદ અને મસૂર જેવા કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે, તેમજ કઠોળના ઉત્પાદનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે.
મુખ્યમમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે કઠોળના ઉત્પાદનમાં એક મુખ્ય યોગદાનકર્તા રાજ્ય તરીકે ઉભર્યું છે અને આ મહત્વપૂર્ણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
તુવેર અને ચણાના અનુક્રમે ૧૧૬૩ કિગ્રા પ્રતિ હેક્ટર અને ૧૬૯૯ કિગ્રા પ્રતિ હેક્ટરના ઉત્પાદન સાથે ગુજરાત આ બંને કઠોળના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, મગ અને અડદની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પાંચમું સ્થાન ધરાવે છે, જેમાં મગનું ઉત્પાદન ૮૧૦ કિગ્રા પ્રતિ હેક્ટર અને અડદનું ઉત્પાદન ૭૨૧ કિગ્રા પ્રતિ હેક્ટર છે. ગુજરાતમાં ચણા, મગ, અડદ, મઠ, તુવેર, ચોળા, વાલ, વટાણા વગેરે જેવા વિવિધ પ્રકારના કઠોળનું વાવેતર થાય છે.
ભારત સરકારના આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કઠોળના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કઠોળ હેઠળનો કુલ વિસ્તાર ૨૦૧૮-૧૯માં ૬.૬૨ લાખ હેક્ટરથી વધીને ૨૦૨૨-૨૩માં ૧૩.૧૦ લાખ હેક્ટર થયો છે. તેવી જ રીતે, કઠોળના ઉત્પાદનમાં પણ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે, એટલે કે ઉત્પાદન ૨૦૧૮-૧૯માં ૬.૭૯ લાખ મેટ્રિક ટનથી વધીને ૨૦૨૨-૨૩ માં ૧૮.૧૧ લાખ મેટ્રિક ટન થયું છે,
જેમાં ચણા, મગ, મઠ અને અડદના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાલી ચણાના જ વાવેતર અને ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. ચણાનો વાવેતર વિસ્તાર ૨૦૧૮-૧૯માં ૧.૭૩ લાખ હેક્ટરથી વધીને ૨૦૨૨-૨૩માં ૭.૬૪ લાખ હેક્ટર થયો છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્પાદન ૨.૩૫ લાખ મેટ્રિક ટનથી વધીને ૧૨.૯૮ લાખ મેટ્રિક ટન થયું છે.
વર્ષ ૨૦૨૦-૨૧થી કઠોળના મુખ્ય પાકોના લઘુતમ ટેકાના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમકે, તુવેર (૨૬%), મગ (૨૧%), અડદ (૨૩%), ચણા (૧૧%) અને મસૂર (૩૧%), જેના કારણે ખેડૂતોની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, કઠોળના પાકો જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધી છે. તેના કારણે નાઇટ્રોજન ખાતર પરની નિર્ભરતા અને તેના ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થયો છે.
કઠોળના ઉત્પાદનમાં થયેલા આ વધારાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે જ તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. આ લાભોથી પ્રોત્સાહિત થઇને વધુ ને વધુ ખેડૂતો આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.