Western Times News

Gujarati News

હક્ક કમીના લેખ ઉપરની ડ્યૂટી ૪.૯૦ ટકાથી ઘટાડીને ફક્ત ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર થઈ શકશે

AI Image

ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ માટે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશન કરી શકાશે, સબ રજિસ્ટ્રાર કચેરી સુધી નહીં જવું પડે

વધુ પડતાં કરભારણથી જનતાની કમર ન તૂટે અને અર્થતંત્રનો ઉત્તરોત્તર વિકાસ થાય, તેવી રાજ્ય સરકારની નેમ : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યના નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણસ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા તથા સ્ટેમ્પ ડયૂટીની યોગ્ય વસૂલાતની જવાબદારી રાજ્ય સરકાર સુપેરે નિભાવે છે

ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર કરાયું-કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં સમયોચિત સુધારા કરાયા

* વડિલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપરની ડ્યૂટી ૪.૯૦ ટકાથી ઘટાડીને ફક્ત ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર થઈ શકશે

* ગીરો લેખ માટેની ડ્યુટીમાં ૮૦ ટકા ઘટાડો કરાતાં રૂ. ૧ કરોડ સુધીની લોન મેળવવા માટે રૂ. ૨૫૦૦૦ની ડ્યુટી ઘટાડીને વધુમાં વધુ રૂ. ૫૦૦૦ કરાઈ

* મોર્ગેજના લેખ ઉપર ડ્યૂટી ભરપાઈ કરવાની બેંકોની જવાબદારી નક્કી કરાતાં સામાન્ય માણસને તેન લાભ થશે

રાજ્યના નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા તથા સરકાર દ્વારા વસૂલવા પાત્ર થતી સ્ટેમ્પ ડયૂટીની યોગ્ય વસૂલાત માટેના ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં સમયોચિત સુધારાઓ કરવા માટેનો ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે રજૂ કર્યો હતો.

આ અંગે ‘પરિવર્તન હી સંસાર કા નિયમ હૈ’ ઉપદેશનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સમય પ્રમાણે કાયદા અને નિયમોમાં પરિવર્તન કરી, લોકાભિમુખ વહીવટ આપવા માટે પ્રતિબદ્ધ છે.

જે અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓ અમલમાં છે. દરમિયાન, બદલાયેલા સંજોગો તથા પરિસ્થિતિને અનુરૂપ કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા માટે નવીનીકરણ કરવું જરૂરી છે.

મંત્રીશ્રીએ આ સુધારા વિધેયકની જરૂરિયાત દર્શાવતાં કહ્યું કે પ્રામાણિક કરદાતાને પ્રોત્સાહન મળી રહે, કરચોરોને ભય બની રહે તથા અધિકારીઓ યોગ્ય, સ્પષ્ટ અને ઝડપી નિર્ણય લઇ શકે, તે તંદુરસ્ત વહીવટીતંત્ર માટે જરૂરી છે. આ વિચારને આગળ વધારવાનો આ બિલનો હેતુ છે.

રાજ્યમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પરથી સ્ટેમ્પ ડયૂટીનું ભારણ ઘટાડવા, અર્થઘટનના પ્રશ્નોનું નિરાકરણ કરવા, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો ઘટાડવા, જોગવાઈઓના સરળીકરણ માટે, સામાન્ય નાગરિકોનાં  હિતોનું રક્ષણ કરવા સહિતની બાબતોને ધ્યાને લઈને આ બિલમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ૨૦ કલમો અને અનુસૂચિ એકના આઠ આર્ટિકલના મહત્ત્વના સુધારાઓ કરવામાં આવ્યા છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ મહાન અર્થશાસ્ત્રી ચાણક્યના વિધાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘જેમ મધમાખી ફૂલમાંથી રસ લે છે, તેમ સત્તાધીશોએ જનતા પાસેથી કર ઉઘરાવવો જોઇએ.’

આ પ્રકારે, વધુ પડતાં કરના ભારણથી જનતાની કમર ન તૂટે તથા અર્થતંત્રના ઉત્તરોત્તર વિકાસ દ્વારા રાજ્યનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની નેમ છે તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૌટુંબિક ફારગતીના લેખોમાં સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી મુક્તિ આપવાના ક્રાંતિકારી નિર્ણયને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આ બિલ દ્વારા વધુ એક અધ્યાય જોડવા જઇ રહી છે.

આ સુધારા વિધેયકના મહત્ત્વના મુદ્દાઓ વિશે વાત કરતાં શ્રી રાજપૂતે કહ્યું કે આર્ટિકલ ૪૯ (ક)માં થનારા સુધારા બાદ હવે વારસાગત/વડિલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપર હાલમાં લેવાતી ૪.૯૦ ટકા ડયૂટીના બદલે ફક્ત ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હક્ક કમી થઇ શકશે. જેનાથી પારિવારિક મિલકતોમાં હક્ક કમીના લેખો પર સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી મુક્તિ મળશે અને સમગ્ર પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ જ પ્રકારે, આર્ટિકલ ૬(૧)માં સુધારો થતાં લોનના સંબંધે ગીરો લેખ માટેની ડ્યુટીમાં ૮૦ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે, હવે રૂ. ૧ કરોડ સુધીની લોન મેળવવા માટે ૦.ર૫ ટકા લેખે ભરવાના થતાં રૂ. ૨૫૦૦૦ની ડ્યુટી ઘટીને વધુમાં વધુ રૂ. ૫૦૦૦ કરવાની જોગવાઈ આ બિલ દ્વારા કરવામાં આવી છે. આ જોગવાઇથી ઘરના ઘરનું સ્વપ્ન જોતાં મધ્યમ વર્ગને હાઉસિંગ લોનમાં અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે લોન મેળવવામાં ફાયદો થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવાના બદલે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવા અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે અગાઉ નાગરિકોને ગીરો ખત, ભાડા કરાર ખત માટે સબ-રજિસ્ટ્રાર કચેરીએ જવું પડતું હતું, પરંતુ તેમનાં સમય અને શક્તિનો બચાવ થાય, તે માટે ઈ-રજિસ્ટ્રેશન સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કાયદામાં કોણે સ્ટેમ્પ ડયૂટી ભરવી તે અંગે સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં, કેટલીક ખાનગી નાણાકીય સંસ્થાઓ કે બેંકો દ્વારા કોણ સ્ટેમ્પ ડ્યુટી ભરશે એવા ઉલ્લેખ વિનાના દસ્તાવેજો કરવામાં આવતાં હતા. આવા દસ્તાવેજો ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કર્યા સિવાય ધિરાણ કરવું તથા આવા દસ્તાવેજો તપાસણી માટે રજૂ ન કરવાની ઘટનાઓ બનતી હતી. જેની સામે નવી કલમ ૩૦(ક) ઉમેરીને મોર્ગેજના લેખ ઉપર ડ્યૂટી ભરપાઈ કરવાની બેંકોની જવાબદારી નક્કી કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. જેનાથી સામાન્ય માણસને લાભ થશે અને બેંકો દ્વારા લોન આપતી વખતે જ યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કરવામાં આવશે.

વધુમાં, કલમ-૧૭ હેઠળ ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમ થયા પછી ૩૦ દિવસમાં સ્ટેમ્પ ડયૂટી ભરવાની જોગવાઈને વધારીને ૬૦ દિવસ કરવામાં આવી છે. આ જ રીતે, કલમ-૩રમાં પણ લેખ નોંધણી બાદ ૩૦ દિવસમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની મર્યાદા વધારીને ૬૦ દિવસની જોગવાઈ કરવામાં આવતાં નાગરિકોને સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે વધુ સમય મળશે તેમ શ્રી રાજપૂતે જણાવ્યું હતું.

આ અધિનિયમમાં ક્રાંતિકારી સુધારો ગણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે કલમ-૩૯ (૧)(ખ) મુજબ હાલમાં ઓછી સ્ટેમ્પ ડયૂટી ભરાયેલી હોય અથવા તો સ્ટેમ્પ ડયૂટીની ચોરીના કિસ્સામાં ઓછામાં ઓછા પાંચ રૂપિયા અને વધુમાં વધુ ખૂટતી ડયૂટીના દસ ગણા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે. જેના કારણે હુકમોમાં એકસૂત્રતા ન જળવાતી હોવાના અને આ જોગવાઇનો દૂરુપયોગ થવાની શક્યતા રહેતી હતી.

જેના સ્થાને હવે આ પ્રકારના કિસ્સામાં જો અરજદાર સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા તૈયાર થાય, તો ખૂટતી સ્ટેમ્પ ડયૂટીના બે ટકા લેખે વધુમાં વધુ ચાર ગણા સુધી અને જો તંત્ર દ્વારા નોટિસ મળ્યા બાદ ડયૂટી ભરવા આવે, તો ખૂટતી ડયૂટીના ત્રણ ટકા લેખે વધુમાં વધુ ૬ ગણા સુધી વસૂલવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ બાબતને ઉદાહરણ સાથે સમજાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે હાલની સ્થિતિમાં રૂ.૧ કરોડની કિંમત ધરાવતી મિલ્કતની નોંધણી પર ૪ લાખ ૯૦ હજાર સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની થાય છે. પરંતુ, પક્ષકાર ૨ લાખ ૯૦ હજાર જ સ્ટેમ્પ ડ્યૂટી ભરે છે અને તો જો અરજદાર સામેથી રૂ.૨ લાખ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવા આવે તો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના પ્રતિ માસ ૨ ટકા લેખે પણ વધુમાં વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ૪ ગણા સુધી એટલે કે રૂ.૮ લાખ સુધીનો દંડ થઇ શકશે.

આ જ પ્રકારે, જો અધિકારી દ્વારા નોટીસ મળ્યા બાદ અરજદાર ભરે તો રૂ.૨ લાખ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના પ્રતિ માસ ૩ ટકા લેખે વધુમાં વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ૬ ગણા એટલે કે રૂ.૧૨ લાખ દંડ થઇ શકશે. આમ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી પર દંડની મર્યાદા નક્કી કરવાથી નિર્ણયોમાં એકસૂત્રતા આવશે અને પ્રજાને હાલાકી ઓછી પડશે તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું કે મૂળ અધિનિયમ અમલમાં આવ્યા પછી સાતેક દાયકાના સમયગાળામાં સમાજમાં, રાજયમાં, દેશ અને દુનિયામાં ઘણાં પરિવર્તન આવ્યાં છે. જેના લીધે નવા કાયદાઓ બનાવવાની પણ જરૂરિયાત ઊભી થઇ છે અને આપણે એ પ્રમાણે નવા કાયદા અમલી પણ બનાવ્યા છે. આમ બદલાતી પરિસ્થિતિ અને નવા કાયદાઓનો લાભ લઇ ઘણી કંપનીઓ માલિકી હકકની તબદિલી આ કાયદાના દાયરામાં ન આવે તે રીતે કરે છે અને સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી છટકી જાય છે. ઉદાહરણ તરીકે શેર ટ્રાન્સફર કરી કંપનીની માલિકીમાં તબદીલી થાય છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર બદલી કંપનીના નિયંત્રણમાં તબદીલી થાય છે અથવા તો ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમથી પણ કંપનીની માલિકીમાં તબદીલી થાય છે.

આથી માલિકી ફેરખતની વ્યાખ્યાનો વ્યાપ વધારી તેમાં કંપનીઓના એકત્રીકરણ, શેર ટ્રાન્સફરથી થતી તબદિલી તથા વિવિધ ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમોથી થતી તબદિલીને પણ કલમ-૨ (જ) અને ૨ (જ) (છ)થી માલિકી ફેરખતની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે. જેથી આવા કિસ્સાઓમાં વસૂલવા પાત્ર સ્ટેમ્પ ડયૂટીને પણ કાયદાથી પીઠબળ મળશે અને રાજયની આવકમાં પણ વધારો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં, મંત્રીશ્રી રાજપૂતે જણાવ્યું કે કલમ-૨ (ઢ)માં લેખની વ્યાખ્યા મુજબ જોગવાઇઓ મુજબ સક્ષમ સત્તા માત્ર મૂળ લેખ ઉપર જ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો હુકમ કરી શકે છે. સ્ટેમ્પ ડ્યૂટીથી બચવા પક્ષકારો મૂળ લેખ રજૂ કરતા નથી પણ તેની નકલ રજૂ કરે છે અને સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાંથી છટકી જાય છે. હવે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાના હેતુ માટે મૂળ લેખની ગેરહાજરીમાં તેની નકલ પણ લેખની વ્યાખ્યામાં સમાવી લીધી છે. જેથી સક્ષમ સત્તા નકલના આધારે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો હુકમ કરી શકશે. આના પરિણામે કોર્ટ મેટર અને લિટિગેશન ઘટશે અને સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત સરળ અને સચોટ રીતે થઇ શકશે.

તેમણે કહ્યું કે હાલમાં કલમ-૩ (ક)માં આર્ટિકલ ૬ (૧) પ્રમાણે હક્કપત્ર અનામત મૂકવાનો સમાવેશ થતો નથી. જેથી ૪૦ ટકા વધારાનો સરચાર્જ વસૂલી શકાતો નથી, પરંતુ ગીરોના કિસ્સામાં બેંકો માત્ર ટાઇટલ જ નહીં, પણ મિલક્ત પર પણ બોજો ઊભો કરે છે અને ડિફોલ્ટના કિસ્સામાં મિલ્કતની હરાજી પણ બેંકો દ્વારા કરવામાં આવે છે. આથી આર્ટિકલ ૬ (૧) ની જોગવાઇમાં હક્કપત્ર અનામત રાખવા પણ સરચાર્જના દાયરામાં લાવવાનો સુધારો દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

વધુમાં, કલમ-૧૦ (એ) ઉમેરીને સરકારી સંસ્થાઓ, સ્થાનિક સત્તા મંડળ, બોર્ડ-નિગમ વગેરે દ્વારા ભાડાપટ્ટે અથવા તો વેચાણ અપાતી મિલકતો પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવા પાત્ર છે કે કેમ તે નકકી કરવાની સત્તા પણ સક્ષમ સત્તાધિકારીને આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી રાજપૂતે જણાવ્યું કે આ બિલમાં એક તરફ પ્રજાહિતના નિર્ણયો લઈને કાયદાકીય આંટીઘૂંટીઓ સરળ બનાવાઈ છે, તો બીજી તરફ કોઇ પણ ચમરબંધી છૂટી ન જાય કે તંત્રની સત્તાને નકારી નહીં શકે. ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ થઇ હોય, તેવા દસ્તાવેજો કોઇ જગ્યાએ રાખેલા હોય, તો તે જગ્યાએ પ્રવેશ કરવાની અને જપ્તી કરવાની સત્તા પણ અધિકારીઓને આપવામાં આવી છે. જો આમ કરતાં અધિકારીઓને કોઇ અટકાવશે, તો તેના માટે દંડ સાથે જેલની સજાની જોગવાઇ પણ દાખલ કરવામાં આવી છે.

આમ આ સુધારા બિલથી અધિનિયમને વધુ અસરકારક, પારદર્શી, નાગરિક કેન્દ્રિત, જનસામાન્ય માટે સરળ એવી જોગવાઇઓ કરવામાં આવી છે અને વારસાગત મિલકતોની તબદીલી એકદમ સરળ, પારદર્શક અને માનવીય અભિગમથી થઇ શકે તેવી જોગવાઇ પણ કરી છે. આ ઉપરાંત, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવી, રાજ્યની આવક સુરક્ષિત કરી, પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન મળી રહે તે પ્રકારની જોગવાઇઓ પણ આ બિલમાં કરી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સચોટ, પ્રજા કલ્યાણલક્ષી અને પારદર્શક કાયદા બનાવવાની પહેલને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર મક્કમપણે આગળ ધપાવી રહી છે. જેમાં સમયોચિત સુધારાઓથી વિકાસને મળશે અને રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આમ, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઈઓમાં સુધારા માટેનું ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.