હાર્દિક પંડ્યાને ટી૨૦ અને વન-ડે માટે નેતૃત્વ સોંપાઈ શકે
નવી દિલ્હી, ભારતીય ટીમમાં હાલ કેપ્ટનશીપને લઈને બીસીસીઆઈનુ કોક્ડું ગુચવાઈ ગયુ છે. ભારતીય ટીમના હાલનો કેપ્ટન ઈજાથી પરેશાન છે અને તેની ફીટનેસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. આગામી સમયમાં ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફાર થવાની સંભાવના સેવાઈ રહી છે. બીસીસીઆઈ ભારતીય ટીમમાં ત્રણ અલગ ફોરમેટ માટે ત્રણ અલગ કેપ્ટનની પણ પસંદગી કરી શકે છે.
ભારતીય ટીમમા રેગ્યુલર કેપ્ટન માટે ઘણા નામની ચર્ચા થઈ રહી છે તેવામાં મોટાભાગના પુર્વ ક્રિકેટરો હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની તરફેણમાં છે. ભારતીય ટીમનું પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી સારુ રહ્યુ નથી ખાસ કરીને આઈસીસીની મેજર ટુર્નામેન્ટમાં સતત હાર મળી છે અને ભારતીય ટીમને આઈસીસી ટ્રોફી જીત્યા તેને ઘણો સમય થઈ ગયો છે. આગામી વર્ષમાં વનડે વર્લ્ડકપ યોજાવાનો છે અને આ માટે ભારતીય ટીમનું સુકાન કોણ કરશે તેનો ર્નિણય બીસીસીઆઈ જલ્દી જ લઈ શકે છે.
હાર્દિક પંડ્યા આઈપીએલ ૨૦૨૨થી ચર્ચામાં આવ્યો હતો. અગાઉ તે ઈજાથી પરેશાન હતો અને ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આ પછી, તેણે માત્ર શાનદાર પુનરાગમન કર્યું જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે આઈપીએલની પ્રથમ જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન પણ બનાવ્યું. આ પછી બીસીસીઆઈએ તેને અનેક અવસર પર ઈન્ટરનેશનલમાં કેપ્ટનશીપ આપી અને તે તેમાં સફળ પણ રહ્યો.
ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આ પછી રોહિત શર્માની જગ્યાએ પંડ્યાને ટી-૨૦ ટીમની કમાન સોંપવાની વાત થઈ હતી. પરંતુ બોર્ડ પંડ્યાને ટી-૨૦ સિવાય વન-ડે ટીમની કેપ્ટનશીપ આપવા અંગે પણ ચર્ચા કરી રહ્યું છે અને બોર્ડે પંડ્યા સાથે આ અંગે વાત કરી છે અને આગામી દિવસોમાં ર્નિણય લેવામાં આવી શકે છે. પંડ્યાને ટી૨૦ સિવાય વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.