હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે કર્ણાટક સરકારને નોટિસ ફટકારી

બેંગ્લુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા ૩૦,૦૦૦ લોકોની હતી. પરંતુ ૨.૫ લાખ લોકો સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતાં.
(એજન્સી)બેંગ્લુર, બેંગ્લુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે આઈપીએલ ૨૦૨૫ની જીતની ઉજવણી દરમિયાન સર્જાયેલી નાસભાગની દુર્ઘટનામાં કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.
કર્ણાટક સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવવા શહેરના પોલીસ સચિવ, ડીસીપી, અને એસપી સહિત ૧૦૦૦થી વધુ પોલીસ તૈનાત હતાં. પરંતુ ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે, ભીડને કાબૂમાં લેવા ૫૦૦૦ પોલીસકર્મી તૈનાત હતાં.
કર્ણાટક હાઈકોર્ટે એક્ટિંગ ચીફ જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ સીએમ જોષીની ડિવિઝન બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે કંઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર તૈયાર કરી હતી? આ નાસભાગ પાછળનું કારણ જણાવતો અને દુર્ઘટના ન સર્જાય તે માટે કેવી તકેદારીઓ રાખવા અને સામનો કરવાની તૈયારીઓ સહિતનો રિપોર્ટ રજૂ કરો.
આ રિપોર્ટ ૧૫ દિવસની અંદર રજૂ કરવા આદેશ છે. કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, બેંગ્લુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા ૩૦,૦૦૦ લોકોની હતી. પરંતુ ૨.૫ લાખ લોકો સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતાં. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે ૧૪૦૦ જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કર્યા હતાં. પરંતુ અચાનક વધુ પડતી ભીડ ઉમટી પડતાં નિયંત્રણ ગુમાવ્યું હતું.