Western Times News

Gujarati News

મારી પાસે હુમલાની ઘટના પર માફી માંગવા શબ્દો નથીઃ ઓમર

શ્રીનગર, પહેલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા હતા. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, મારી પાસે આ ઘટના પર માફી માંગવા માટે શબ્દો નથી.

રાજ્યના મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હોવાને લીધે મેં એ પ્રવાસીઓને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ હું તેમને સલામત રીતે પરત મોકલી શક્યો નહીં.

આ હુમલાએ અમને અંદર સુધી ખોખલા કરી નાખ્યા છે. આ પહેલાં, વિધાનસભાના વિશેષ સત્રમાં ઓમર અબ્દુલ્લાએ તમામ માર્યા ગયેલા ૨૬ પ્રવાસીઓના નામ વાંચીને શ્રદ્ધાંજલિ આપી આપી હતી.

અબ્દુલ્લાએ કહ્યું કે એ લોકોના દુખ-દર્દને આ વિધાનસભાથી વધુ કોઈ બીજી વિધાનસભા કે સંસદ સમજી શકશે નહીં. આ વિધાનસભામાં ઉપસ્થિત કેટલાય લોકોએ આતંકવાદી હુમલાઓમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આખો દેશ આ હુમલાથી સ્તબ્ધ છે. આ પહેલો હુમલો નથી. આપણે કેટલાય હુમલા જોયા છે.

પરંતુ બાયસન ખીણમાં ૨૧ વર્ષ પછી સામાન્ય નાગરિકો પર આટલો મોટો હુમલો થયો. મારી પાસે શબ્દ નથી કે હું કેવી રીતે તેમના પરિવારજનોની માફી માંગુ. યજમાન(મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી તરીકે) હોવાથી મારી જવાબદારી હતી કે તેમને સલામત રીતે પરત મોકલું. પરંતુ મોકલી શક્યો નહીં.

માફી માંગવા માટે મારી પાસે શબ્દો નથી. શું કહું એમને, એ નાના બાળકોને, જેમણે પોતાના પિતાને લોહીલુહાણ હાલતમાં જોયા. એ નેવી ઓફિસરની વિધવાને જેના લગ્ન થયાને ગણતરીના દિવસો જ થયા હતા. આ મુશ્કેલ સમયમાં આપણે પ્રકાશનું કિરણ શોધવું પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.