ઈમરાન ખાને ફરીથી મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/Modi_Imran.jpg)
નવી દિલ્હી, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન જ્યારથી સત્તામાંથી બેદખલ થયા છે ત્યારથી કોઈને કોઈ કારણસર મીડિયામાં ચર્ચામાં રહે છે. ક્યારેક તેઓ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના કારણે તો ક્યારેક શાહબાજ શરીફ સરકાર પર આરોપ લગાવીને મીડિયામાં ચર્ચામાં રહે છે. અનેકવાર તેઓએ ભારતની વિદેશ નીતિના પણ વખાણ કર્યા છે. હવે એકવાર તેઓ ફરીથી ભારત વિશે આપેલા નિવેદનના કારણે ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેમણે ભારતના વખાણ નહીં પરંતુ ભારત સાથેના સંબંધોને લઈને ભાજપની સરકાર પર કરેલી ટિપ્પણીના કારણે તેઓ ચર્ચામાં છે.
ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે, તે પાકિસ્તાનની જરૂરિયાત છે. પરંતુ જ્યાં સુધી ભારતમાં ભારતીય જનતા પાર્ટી રહેશે ત્યાં સુધી તે શક્ય બનશે નહીં. બ્રિટિશ અખબાર ધ ટેલીગ્રાફને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને એવા આર્થિક લાભો ઉપર પણ વાત કરી જે બંને દેશો વચ્ચે સારા સંબંધો દ્વારા હાંસલ કરી શકાય છે. ઈમરાન ખાને જણાવ્યું કે બંને દેશોને તેનો મોટો ફાયદો થશે પરંતુ આ વચ્ચે જમ્મુ કાશ્મીર પર ભારતનું વલણ મોટો રોડો રહેશે. આપણે આ મુદ્દે એક મજબૂત રોડમેપની જરૂર છે.
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે ભાજપની સરકાર હાર્ડલાઈન છે અને તેમના મુદ્દા રાષ્ટ્રવાદ સાથે જાેડાયેલા હોય છે. ઈમરાન ખાને કહ્યું કે અમે અફઘાનિસ્તાન, ઈરાન અને ચીન સહિત પાકિસ્તાનના તમામ પાડોશીઓ સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે ફરીથી કોઈ યુદ્ધ થાય. ભારત અને પાકિસ્તાન ચાર યુદ્ધ લડી ચૂક્યા છે અને દર વખતે તેમાં પાકિસ્તાને જ હારનો સામનો કરવો પડ્યો છે.
ઈમરાન ખાનને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે ભારત સાથે સંબંધોને પાકિસ્તાન તરફથી ખરાબ કરવામાં આવ્યા ત્યારે આ બધુ એવા સમયે થયું જ્યારે તમે સત્તામાં હતા. તમે જ ભારત સાથે ટ્રેડ રિલેશન ખતમ કર્યો હતો. આ સવાલના જવાબમાં ઈમરાન ખાને કહ્યું કે જ્યારે ભારતે આર્ટિકલ ૩૭૦ને ખતમ કરી અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જાે છીનવી લીધો ત્યારે અમારે તેમની સાથે સંબંધનો અંત આણવો પડ્યો. અત્રે જણાવવાનું કે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કાશ્મીરના વિશષ રાજ્યનો દરજ્જાે ખતમ કરવામાં આવ્યો હતો. આ જ મહિને ઔપચારિક રીતે પાકિસ્તાને ભારત સાથે પોતાના સંબંધોને ઘટાડ્યા હતા.